નવી દિલ્હી, તા. 22: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એમબી લોકુરે કહ્યું છે કે, રાજદ્રોહ ઉપર સુપ્રીમ કોર્ટનો 11 મેનો આદેશ મહત્ત્વપૂર્ણ છે જ્યારે યુએપીએની એક જોગવાઈના દુરુપયોગ ઉપર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ખરાબમાંથી બદતર સ્થિતિમાં જવા જેવી પ્રક્રિયા છે.
`રાજદ્રોહથી આઝાદી' કાર્યક્રમમાં પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમજાવવાની કોશિશ કરી હતી. સુપ્રીમ કોર્ટે આઝાદી પહેલાના રાજદ્રોહના કાયદા ઉપર જ્યાં સુધી ફરીથી યોગ્ય તપાસ ન થાય અને કોઈ નવી એફઆઇઆર દાખલ ન થવાનો નિર્દેશ ન અપાય ત્યાં સુધી રોક મૂકી દીધી છે. લોકુરે કહ્યું હતું હતું કે રાજદ્રોહની જોગવાઈ અંગે સરકાર શું કરશે તે ખ્યાલ નથી પરંતુ લાગે છે કે તેને હટાવી દેવામાં આવશે. આટલી જ ચિંતાજનક જોગવાઈ યુએપીએમાં છે. યુએપીએમાં ધારા 13ની એક સમાંતર જોગવાઈ છે. જે કહે છે કે કોઈપણ ભારત સામે અસંતોષ પેદા કરવા ઈચ્છે કે ઈરાદો રાખે તેવી વ્યક્તિ. રાજદ્રોહના કાયદામાં થોડા અપવાદ છે. જેમાં આરોપને લાગુ કરી શકાતો નથી જ્યારે યુએપીએની ધારા 13 હેઠળ કોઈ અપવાદ નથી. આ જોગવાઈ ખરાબથી બદતર દિશામાં જવા જેવી છે.
Published on: Mon, 23 May 2022