સારવાર લેતા કેસ માર્ચ બાદ 80 હજારને પાર : વધુ 9862 સાજા
નવી દિલ્હી, તા. 22 : ભારતમાં કોરોનામાંથી મુકત થવા માટે સારવાર લઇ રહેલા સંક્રમિતોની સંખ્યા બુધવારે માર્ચ મહિના બાદ ફરી 80 હજારને આંબી ગઇ હતી.
મંગળવારે 10 હજારથી નીચે રહ્યા બાદ આજે પાછા 12 હજારથી વધુ 12,249 નવા દર્દી ઉમેરાતાં કુલ્લ દર્દીની સંખ્યા 4,33,31,645 થઇ ગઇ છે.
કેરળમાં આઠ, દિલ્હી, કાશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં એક-એક મળી દેશમાં વધુ 13 દર્દીની જીવનરેખા કોરોનાએ ટૂંકાવી દેતાં કુલ્લ 5,24,903 દર્દી જીવ ખોઇ ચૂકયા છે.
આજે વધુ 2300 કેસના ઉછાળા બાદ સારવાર લેતા દર્દીઓનો આંક 81,867 થઇ ગયા છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.19 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 9862 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 4,27,25,055 દર્દી સાજા થઇ ચૂકયા છે.
રિકવરી રેટ 98.60 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 196.45 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂકયાં છે.
Published on: Thu, 23 Jun 2022