મુખ્ય પ્રધાને આપી ગણેશોત્સવની શુભેચ્છા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : શ્રીગણેશનું આગમન આપણા બધા માટે આશીર્વાદરૂપ પુરવાર થશે. તેમની કૃપાને લીધે મહારાષ્ટ્ર સુજલામ, સુફલામ અને સમૃદ્ધ થાય એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્રવાસીઓ જ નહીં, પરંતુ વિશ્વભરના ગણેશભક્તોને શુભેચ્છાઓ આપી છે.
ગણેશચતુર્થીની પૂર્વસંધ્યાએ શિંદેએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે આ વખતનો ઉત્સવ આપણે ઉત્સાહમાં, ઉમંગ અને પવિત્રતાની જાળવણી કરીને કરશું. ગણપતિ બાપ્પાની સેવામાં આપણે ક્યાંય ઉણા ઉતરીએ નહીં એવા ભાવથી સેવા કરીએ છીએ. તે પ્રમાણે આપણે પર્યાવરણની આપણી આસપાસના પરિસરની જાળવણી કરવી જોઈએ. ગણપતિ પાસેથી આપણે સકારાત્મક અને નવનિર્મિતીની પ્રેરણા લેવા જોઈએ. બંધુભાવ, સુમેળ અને પરસ્પરપ્રેમ - આદર વધે એવા કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. ગણપતિના આગમન સાથે પવિત્ર અને મંગળ વાતાવરણ સર્જાય છે. તેમાંથી નવી આશા-આકાંક્ષાને બળ મળે છે. ગણેશોત્સવ મહારાષ્ટ્રનો વિશિષ્ટ ઉત્સવ છે. તેથી આખા વિશ્વનું તેના ઉપર ધ્યાન હોય છે. આ ઉત્સવ દ્વારા આપણે વિશ્વને મહારાષ્ટ્રની આગવી ઓળખ કરાવીએ, એમ શિંદેએ ઉમેર્યું હતું.