• શુક્રવાર, 03 મે, 2024

કેજરીવાલ માટે મીઠાઈ બની કડવી ગોળી  

કેજરીવાલે જામીન પર છૂટવા માટે મીઠો માર્ગ શોધ્યો પણ ભૂલા પડયા છે, ઈડી ચાલાક છે. મીઠાઈ ખાઈને ડાયાબિટીસ વધે તો જેલ-કોર્ટની જવાબદારી હોય. જામીન માટે ભીખ અરજી કરવી પડે નહીં. હવે એમ્સન ડૉક્ટરો તેમના રિપોર્ટ મુજબ કોર્ટને સૂચન આપશે. આમ કેજરીવાલને મીઠાઈને બદલે કડવી ગોળી મળી.

દરમ્યાન `આપ'ના નેતા આતિશીએ એવો આક્ષેપ કર્યો છે કે, જેલમાં કેજરીવાલને ઈન્સ્યુલિન નથી આપવામાં આવતું. તેઓ 55 વર્ષના છે અને ડાયાબિટીસના દર્દી છે. રોજ 54 યુનિટ ઈન્સ્યુલિન લેતા હતા, પરંતુ જેલ તંત્ર તેમને ઈન્સ્યુલિન નથી લેવા દેતું. આને લઈ તેમનું સુગર લેવલ 300 સુધી પહોંચી ગયું છે. `આપ'ના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, ઈડીએ કોર્ટમાં ખોટાં તથ્યો રજૂ કર્યાં છે. સચ્ચાઈ છે કે, કેજરીવાલનું ઘરનું ખાવાનું બંધ કરાવીને એમને જેલનું ખવડાવીને તેમનું સ્વાસ્થ્ય બગાડવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે.

કોર્ટે સંદર્ભમાં જેલ સત્તાવાળાઓને કેજરીવાલનો ડાયટ ચાર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને તેની એક નકલ કેજરીવાલને આપવા જણાવ્યું હતું. ડાયટ ચાર્ટ કોર્ટને સુપરત કરાતાં કોર્ટે વાસ્તવમાં તિહાર જેલમાં ગયા બાદ તેઓને ઘરનું ખાવાનું અને દવાઓ રાખવાની છૂટ કોર્ટે આપી છે અને તે અનુસાર તેઓ જેલમાં ઘરેથી આવેલું જમવાનું અને રાખેલી દવાઓ પણ લે છે, પણ ઈડીના જણાવ્યા પ્રમાણે જેલમાં કેજરીવાલ ઘરેથી આવેલા ભાણાંમાં કેરીનો રસ, આલુપૂરી, મીઠાઈઓ ખાય છે. સ્પષ્ટ છે કે, બધી ચીજો ડાયાબિટીસના દર્દી માટે ઝેર સમાન છે. આના લીધે સુગર લેવલ વધવું સ્વાભાવિક છે. જો સામાન્ય માણસ પણ સમજી શકતો હોય કે ડાયાબિટીસના દર્દી માટે મીઠાઈ ઝેર છે, તો કેજરીવાલને ઘરેથી `ઝેર' શા માટે મોકલવામાં આવે છે? જેલમાં તેઓ તે શા માટે ખાઇ રહ્યા છે? જોકે, તેમના વકીલે કોર્ટને જણાવ્યું છે કે, કેજરીવાલે પ્રસંગોપાત કેરી કે પૂરી ખાધી છે. વાસ્તવમાં ઘરનું ખાવાનું એમ્સના રિપોર્ટ અનુસાર હોવું જોઈએ. કોર્ટે આદેશ આપવો જોઇએ કે, કેજરીવાલને જેલના નિયમો પ્રમાણે ખાવાનું મળવું જોઈએ, કારણ કે તેમણે ઘરથી ખાવાની મળેલી છૂટનો દુરુપયોગ કર્યો છે.

અર્થ સ્પષ્ટ છે. લાગે છે કે, જે આરોપસર કેજરીવાલ જેલમાં છે, એવા આરોપસર દિલ્હીના એકવેળાના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ 14 મહિનાથી જેલમાં છે, તેઓને જામીન મળતા હોય તો પોતાને પણ નહીં મળે અને જેલવાસ લાંબો વનવાસ બનતાં કેજરીવાલ મીઠાઈ ખાઇ ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી જામીન પર છૂટવા માગે છે.

જેલમાં તેમને ઈન્સ્યુલિન નથી આપવામાં આવતા એવા `આપ'ના આક્ષેપમાં કોઈ તથ્ય નથી, કારણ કે કોર્ટમાં કેજરીવાલે આવી કોઈ ફરિયાદ નથી કરી. આમ ખોટા આક્ષેપો દ્વારા `આપ' લોકોની સહાનુભૂતિ મેળવવા માગે છે, પણ તિહાર જેલના કેજરીવાલના ડાયટ રિપોર્ટ પછી બધું આધારહીન ઠરે છે.

આમ, મેડિકલ ગ્રાઉન્ડ પર છૂટવા માટે ભલે અરવિંદ કેજરીવાલ ગમે તેટલા ધમપછાડા કરતા હોય, પણ તેઓની કોઈ તરકીબ કામિયાબ થાય એમ લાગતું નથી. બહેતર તો રહેશે કે, કેજરીવાલ બધાં કરતૂતો અજમાવવાનો વિચાર છોડી પોતાના સ્વાસ્થ્યનો વિચાર કરે. સ્વસ્થ રહે. તેમનો પક્ષ પણ નિરાધાર આક્ષેપો કરવાનું છોડી લોકોના હાંસીપાત્ર બનતો અટકે.