વિશ્વ સ્તરે જેની આણ પ્રવર્તે છે તેવા રશિયાના સક્ષમ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે વૈશ્વિક રાજકીય પ્રવાહોમાં જાણે પૂરની સ્થિતિ સર્જી દીધી છે. ભારત કોઈની વાતો કે ટેરિફ જેવી નીતિના અમલથી ડરતું નથી તેવો સ્પષ્ટ સંદેશ પુતિન મુલાકાત અને આપણા વલણ ઉપરથી જગતને મળ્યો છે. ટ્રમ્પે અમલી બનાવેલા આકરા ટેરિફ, રશિયા ઉપર લાગેલા પ્રતિબંધોની સ્થિતિમાં આ મુલાકાત મહત્ત્વની રહી.
2014માં નરેન્દ્ર
મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી વિશ્વના અનેક દેશો સાથે ભારતના સંબંધોમાં નવાં પરિમાણ
ઉમેરાયાં, જ્યાં સંબંધનાં મૂળિયાં નખાયાં હતાં તે વધારે વિકસ્યાં-ખીલ્યાં. રશિયા અને
યુક્રેન બન્ને એમ કહે કે ભારત-મોદી કહે તો યુદ્ધ રોકી દઈએ એ મોટી વાત છે. 23મા ભારત-રશિયા
શિખર સંમેલન માટે રશિયન પ્રમુખ પુતિન ચાર વર્ષ બાદ ભારત આવ્યા. બન્ને દેશ વચ્ચે થયેલી
ચર્ચાના અંતે વેપાર-ઉદ્યોગ સહિતનાં ક્ષેત્રોની દિશા નક્કી થઈ છે. 100 અબજ ડૉલરને બન્ને
દેશનો વેપાર આંબી જશે તેવું લક્ષ્ય નક્કી થયું છે. રશિયાની વિવિધ કંપનીઓ ભારત પાસેથી
સામાન ખરીદવા ઈચ્છે છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કહ્યું કે ટેક્સટાઈલ, ઈ.વી.
સહિતનાં ક્ષેત્રોમાં ભારત અને રશિયા માટે પરસ્પર અગત્યની તકો છે. બન્ને દેશોની મિત્રતાને
વડા પ્રધાને ધ્રુવ તારા જેવી એટલે કે અવિચળ ગણાવી. રશિયન પ્રવાસીઓ માટે 30 દિવસના ઈ-વિઝાનું
મોદીનું એલાન પણ મહત્ત્વનું છે. ખાદ્યસુરક્ષા અને માપદંડ, સમુદ્રી સહયોગ, સ્વાસ્થ્ય
સેવા સહિતના મુદ્દે થયેલી સમજૂતીઓ ભારતના વિકાસલક્ષી અભિગમના અનુસંધાને પણ ઘણી અગત્યની
છે.
આંતરરાષ્ટ્રીય
સ્તરે એવી ચર્ચા છે કે પુતિનની પધરામણીથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ નારાજ
થયા હોય. છેલ્લા ઘણા સમયથી તેમનું ભારત પ્રત્યેનું વલણ વિચિત્ર તો હતું જ. હવે જ્યારે
મોદીએ પુતિનના આગમનની સાથે જ તેમને જે રીતે આલિંગન આપ્યું છે તે જોતાં ટ્રમ્પ સમસમી
ન જાય તો જ નવાઈ. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતનો વિકાસ જાદુઈ વિકાસ છે. તેમનું
આ વિધાન ભારત વિરોધી દેશોને ચૂપ કરવા માટે પર્યાપ્ત છે ભારતની અંદર જે વિપક્ષો સતત
વિકાસવિરોધી વાતો કરે છે તેમના માટે પણ આ સૂચક છે.
અમેરિકાની નારાજગી,
તેનાં સૂચિત પરિણામો સહિતના અનેક મુદ્દાઓ છે. જોકે વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ
કહ્યું કે છેલ્લાં 70-80 વર્ષોમાં વિશ્વએ અનેક ઉતાર-ચડાવ જોયા છે, પરંતુ ભારત અને રુસના
સંબંધો તમામ સ્થિતિમાં મજબૂત રહ્યા છે. વિદેશપ્રધાનની આ વાત ઐતિહાસિક સ્તરે અંકાયેલી
છે. 1962માં ભારતને સોવિયેત સંઘે મીગ 21 યુદ્ધ હવાઈ જહાજ આપ્યાં. વિશ્વ મંચ ઉપર ભારતને
સોવિયેત સંઘે કૂટનૈતિક સમર્થન આપ્યું છે. સોવિયેત સંઘના વિસર્જન બાદ પણ રશિયા સાથે
ભારતના સંબંધો મજબૂત રહ્યા હતા. રક્ષાનીતિ અને તે સિવાય પણ રશિયા સાથે ભારતના સંબંધો
સાનુકૂળ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અને વ્લાદિમીર પુતિન આ પરંપરાને આગળ લઈ જઈ રહ્યા
છે. આ બે દેશ ભવિષ્યમાં વિશ્વની રાજકીય દિશા અને ગતિ નક્કી કરે તો આશ્ચર્ય પામવું નહીં.