• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

સંસદ ભવનના ઉદ્ઘાટન મુદ્દે રાજકીય ઘમસાણ  

શાસક-વિપક્ષની છાવણી તૈયાર : 20 વિરોધમાં, 15 સરકારની સાથે

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 25 : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના મુદ્દે શાસક-વિપક્ષ છાવણીઓમાં વહેંચાયો છે. રાષ્ટ્રપતિના હાથે ઉદ્ઘાટન ન કરાવીને મોદી સરકાર પર લોકશાહીની ગરિમા ખતમ કરવાનો આક્ષેપ વિપક્ષોએ કર્યો છે. તો શાસક ભાજપ તરફથી અગાઉની કૉંગ્રેસ સરકારના સમયમાં કેટલાય ઉદ્ઘાટનોમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિને સુદ્ધાં કોરાણે મુકાયાનો આક્ષેપ કર્યો છે.

કૉંગ્રેસ સહિત વીસ વિપક્ષી દળોએ 28 મેએ વડા પ્રધાન મોદીના હાથે થનારા સંસદ ભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે, તો 18 જેટલા નાના-મોટા પક્ષોએ સરકારને સમર્થન જાહેર કરીને સમારોહમાં હાજર રહેવાનું નક્કી કર્યું છે.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાજકારણનો અખાડો બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉદ્ઘાટનનાં આયોજનનો વિરોધ કરીને કોંગ્રેસે કાર્યક્રમનાં બહિષ્કારની ઘોષણા કરી છે અને અન્ય 20 દળોએ પણ તેનો સાથ આપ્યો છે. બીજીબાજુ 15 પક્ષો ભાજપનાં સમર્થનમાં પણ આવી ગયા છે. 

બહિષ્કારની જાહેરાત કરનારા વિપક્ષી દળોનું કહેવું છે કે, ભાજપ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તે નવી સંસદનું ઉદ્ઘાટન નહીં કરાવીને તેમનાં પદનું અપમાન કરી રહ્યો છે. સંસદનાં ઉદ્ઘાટન મુદ્દે સર્જાયેલા રાજકીય ઘમસાણમાં એનડીએ વિરુદ્ધ યુપીએ તો છે જ પણ અમુક વિપક્ષી દળ પણ ભાજપનાં સમર્થનમાં આવી ગયા છે. 

ભાજપ ઉપરાંત શિવસેના (શિંદેજૂથ), શિરોમણિ અકાલીદળ, તમિલ મનીલા કોંગ્રેસ, અપના દલ, તેલુગુ દેશમ પાર્ટી, વાયએસઆર કોંગ્રેસ, આરપી (આઠવલે), બીજેડી, એઆઈએડીએમકે, જેજેપી સહિત પક્ષો ઉદ્ઘાટન પ્રસંગમાં સામેલ થશે.નવા સંસદભવનનાં વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટનને સમર્થન આપતાં પક્ષોનું લોકસભામાં 60.82 ટકા, રાજ્યસભા 46.86 ટકા પ્રતિનિધિત્વ છે, તો વિરોધ કરતા પક્ષોનું લોકસભામાં 26.38 ટકા, રાજ્યસભામાં 38.23 ટકા પ્રતિનિધિત્વ છે.

નવા સંસદ ભવનનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક અરજી દ્વારા માગ કરવામાં આવી છે કે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવા આદેશ આપવામાં આવે.

તા.ર8મીને રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે પ્રસ્તાવિત છે તેવા સમયે વકીલ સીઆર જયા સુકિને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી રજૂઆત કરી કે કોર્ટ લોકસભા સચિવાલયને આદેશ આપે કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ થવું જોઈએ. વકીલે 18મી મેના લોકસભાના સેક્રેટરી જનરલનાં નિવેદનને ટાંક્યું જેમાં જણાવાયું હતું કે વડાપ્રધાન નવી સંસદનું ઉદ્ઘાટન કરશે. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું કે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરે તે બંધારણનો ભંગ છે અને રાષ્ટ્રપતિને જ ઉદ્ઘાટન કરવા બોલાવવા જોઈએ.

અરજદારે જણાવ્યું કે બંધારણના આર્ટિકલ 79 અનુસાર સંસદનો અર્થ જ બન્ને ગૃહ અને રાષ્ટ્રપતિથી છે. ત્રણેયથી જ સંસદ બને છે. આ રીતે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે અને તેના કસ્ટોડિયન છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે જે સંસદ સત્ર બોલાવે છે અને તેને સમાપ્ત કરે છે. તેઓ જ વડાપ્રધાન અને કેબિનેટને શપથ લેવડાવે છે. કોઈ ખરડો મંજૂર થાય તો તે રાષ્ટ્રપતિને નામે જ હોય છે. આવામાં નવી સંસદના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને જ ન બોલાવવા એ તેમનું અપમાન છે અને બંધારણનો ભંગ છે.