અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે નેતાઓએ ફરી એકવાર વિપક્ષી એકતા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં નીતિશ કુમાર આમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની જીત બાદ કૉંગ્રેસનું મનોબળ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું કે તેઓ વડા પ્રધાનપદની રેસમાં નથી. પવારે કહ્યું કે આજે આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના હિતમાં કામ કરી શકે.
પવારે કર્યા રાહુલના વખાણ
શરદ પવારે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની પદયાત્રાની સફળતાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિશે કોઈ કંઈ પણ કહે, પરંતુ મને ખાતરી છે કે લોકો તેમની વિચારધારા સાથે ઊભા રહેશે અને તેને મજબૂત કરવા માટે કામ કરશે.
શરદ પવારે તેમણે કહ્યું કે મારો પ્રયાસ વિપક્ષના તમામ પક્ષોને સાથે લાવવાનો છે. તેમણે કહ્યું કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ આવા જ પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે વડા પ્રધાનપદના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ આગામી ચૂંટણી નહીં લડે તો વડા પ્રધાનપદના ઉમેદવાર બનવાનો પ્રશ્ન ક્યાંથી ઊભો થાય છે. પવારે સ્પષ્ટ કહ્યું કે તેઓ વડા પ્રધાનની રેસમાં નથી.
સીટ વહેંચણી અંગે હજુ કોઈ નિર્ણય નથી
બીજી તરફ ચૂંટણી માટે સીટોની વહેંચણી પર એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે મારા નિવાસસ્થાને થયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી કે એમવીએ ગઠબંધનના ત્રણેય પક્ષોના નેતાઓ બેસીને તેના પર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે, સોનિયા ગાંધી અથવા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને હું સાથે બેસીને ચર્ચા કરીશું.