• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ગુજરાતના સરકારી કર્મચારીઓને મળશે 8 ટકા મોંઘવારી ભથ્થું

અમદાવાદ, તા.23: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારનાં ધોરણે 4 ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા 4 ટકાનો વધારો તા.01-01-2023ની અસરથી આપવાનો નિર્ણય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેવા કર્મચારીઓને જ મળવાપાત્ર થશે તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાનાં પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે. મુખ્ય પ્રધાનના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તા. 01-07-2022 તથા તા. 01-01-2023ની અસરથી આપવાના થતાં મોંઘવારી ભથ્થામાં આ 8 ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે. તે 3 હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદ્અનુસાર, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ