પાંચ ફૂટનું ચાંદીનું સેંગોલ : વડા પ્રધાન મોદીના હસ્તે નવી પરંપરાની શરૂઆત
નવા સંસદ ભવનનું તા.28મી મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું કે આ દિવસ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે કારણ કે, તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ ફૂટ લાંબા ચાંદીના પવિત્ર રાજદંડ (સેંગોલ)નો સ્વીકાર કરશે જે આપણી સભ્યતા સાથે જોડાયેલી એક મહત્ત્વની વસ્તુ છે. અંગ્રેજો પાસેથી સત્તાના હસ્તાંતરણના પ્રતીક ઐતિહાસકિ સેંગોલને વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનમાં સ્પીકરની બેઠકની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ગૃહ પ્રધાને વધુમાં જણાવ્યું કે નવી સંસદ વડાપ્રધાન મોદીની દૂરદર્શિતાનું પ્રમાણ છે. નવા સંસદ ભવનનાં નિર્માણમાં 60 હજાર શ્રમિકોએ યોગદાન આપ્યું છે. જેમનું વડાપ્રધાન સન્માન કરશે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના દિવસે એક નવી પરંપરા શરૂ થવાની છે. આ દિવસે સંસદમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. તે ચોલ સામ્રાજ્ય સાથે સંબંધ ધરાવે છે અને તેના પર નંદી અંકિત કરવામાં આવી છે. ભારતના ઈતિહાસમાં તે ખૂબ જ મહત્ત્વનું છે.
શાહે કહ્યં કે આશ્ચર્યની વાત છે કે સેંગોલ અત્યાર સુધી આપણી સામે આવી શક્યું નથી. 14 ઓગસ્ટ, 1947ની રાત્રે 10:45 મિનિટે તમિલનાડુથી લાવવામાં આવેલા આ સેંગોલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ રીતે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.