• શુક્રવાર, 13 જૂન, 2025

મહાનગરમાં સ્વચ્છ, સારી ફૂટપાથ : રાહદારીઓ માટે અનિવાર્ય

મહાનગર મુંબઈ હવે ગગનચુંબી ટાવરોનું શહેર બની રહ્યું છે, બની ગયું છે. હવે માણસો કરતાં મોટરકારોનું વધુ ધ્યાન અપાય છે. રહેઠાણથી વધુ પાર્કિંગની ચિંતા અને વ્યવસ્થા થાય છે ત્યારે નાગરિકોની સલામતી અને સુવિધાનું આયોજન ભુલાયું છે. ખાસ કરીને મુંબઈમાં પગપાળા ફરતા લોકો - રાહદારીઓ ફૂટપાથ ઉપર ચાલી શકે છે ખરા? અરે ફૂટપાથ છે ક્યાં? એક અભ્યાસ અનુસાર વર્ષ 2019થી 2023 દરમિયાન આઠ લાખ લોકોએ માર્ગો ઉપર અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને આમાં દોઢ લાખ તો પદયાત્રીઓ હતા! દેશભરનાં શહેરોમાં ફૂટપાથનો અર્થ - મતલબ જ ભુલાઈ ગયો છે!

મુંબઈ હાઈ કોર્ટે આ વર્ષે એપ્રિલની આઠમી તારીખે મુંબઈ સુધરાઈને આદેશ આપ્યો છે કે ટ્રાફિક વિભાગ મૂકપ્રેક્ષક બનીને બેસી રહે તે નહીં ચાલે - શહેરમાં ઠેરઠેર ગેરકાયદે પાર્કિંગ થાય છે. પોલીસે જપ્ત કરેલાં વાહનો પોલીસ સ્ટેશનોની આસપાસ ખડકાયાં હોય છે અને આવા ઢગલા વર્ષોથી પડયા છે. ઉપરાંત ફેરીવાલાઓ ફૂટપાથ ઉપર કબજો જમાવીને બેઠા છે - અને રાહદારીઓ માટે ફૂટપાથ `બંધ' હોય છે - એવી વાસ્તવિક ટીકા કરીને હાઈ કોર્ટે આદેશ આપ્યો કે ફૂટપાથ અંગે નવા નીતિ-નિયમો બનાવો અને એપ્રિલની 29મી સુધીમાં હાઈ કોર્ટને રિપોર્ટ આપો.

આ પછી મુંબઈ સુધરાઈના કમિશનર ભૂષણ ગગરાણીએ મુંબઈમાં પગપાળા પ્રવાસ કરી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ એ કબૂલ કર્યું હતું. વિશેષ કરીને પરાં વિસ્તારોમાં - બાંદ્રાથી દહિસર સુધી ઘણી ખરાબ હાલત હોવાનું સ્વીકાર્યું છે. જોકે, માર્ગોનાં ખોદકામ અને કૉંક્રીટીકરણ, ભારે વરસાદથી ધોવાઈ જતા રસ્તાનું પણ કારણ આપ્યું છે.

મુંબઈ હાઈ કોર્ટને રિપોર્ટ રજૂ થયો કે નહીં તે જુદી વાત છે પણ દિવ્યાંગો માટે અનુકૂળ ફૂટપાથ હોવી, બનવી જોઈએ તે માટે સુધરાઈએ ટેન્ડર મગાવ્યાં હતાં પણ માત્ર એક જ એનજીઓએ પ્રતિસાદ આપ્યા પછી ટેન્ડરની શરતો હળવી બનાવીને ફરીથી દરખાસ્તો માગવામાં આવી છે. ભવિષ્યમાં રસ્તાઓનાં કોંક્રીટીકરણ વખતે ફૂટપાથ પણ દિવ્યાંગો માટે ઉપયોગી બને તેનો ખ્યાલ રખાશે.

રાહદારીઓ માટે આ સુવિધા આપણા લોકતંત્ર અને વિકાસની નોંધ - છે - સુખસાહેબીનું પ્રદર્શન નથી.