• શુક્રવાર, 13 જૂન, 2025

દેશભક્ત બનવું મુશ્કેલ છે?

યદ્ધમાં માર ખાધા પછી હવે પાકિસ્તાન ડિપ્લોમસી-કૂટનીતિમાં ભારતને ભીંસમાં લેવા માગે છે ત્યારે ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ સંસદનું વિશેષ સત્ર બોલાવીને આપણી સેના અને સરકાર ઉપર ટીકા-પ્રહાર કરવા માગે છે!

પાકિસ્તાન હવે ભારતના આક્રમણની ફરિયાદ કરીને આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરીની ગુજારીશ કરે છે અને સાથે સિંધુનો પાણીપુરવઠો પૂર્વવત્ કરવા માટે વિદેશોની મદદ માગે છે - આજીજી કરે છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ પછી કમસેકમ બાર વખત એવો દાવો કર્યો છે કે એમણે યુદ્ધવિરામ કરાવ્યો છે - ટ્રમ્પની વાત અને વલણથી પ્રોત્સાહિત થયેલા પાકિસ્તાને ત્રીજા દેશની દરમિયાનગીરી માગી છે - તે પરોક્ષ રીતે અમેરિકાની દખલ ઈચ્છે છે!

પાકિસ્તાની આતંકી હુમલા અને ભારતે `યોગ્ય જવાબ' આપ્યા પછી ભારતે સર્વપક્ષી પ્રતિનિધિમંડળોને વિશ્વનાં 33 પાટનગરોની મુલાકાતે મોકલ્યાં છે તે આ સપ્તાહની આખર સુધીમાં સ્વદેશ પાછા ફરે ત્યારે સંસદના વિશેષ સત્રની માગણી વિરોધી નેતાઓએ કરી છે અને તે પહેલાં પ્રતિનિધિઓની નિમણૂક અંગે કૉંગ્રેસે વિવાદ ઊભો કર્યો, રાહુલ ગાંધીએ રાફેલ વિમાનો બાબત શંકા અને પ્રશ્નો ઉઠાવીને ભારતીય સેના અને સરકારની સફળતાના વિવાદ શરૂ કર્યા છે ત્યારે પાકિસ્તાને બે પ્રતિનિધિમંડળો વૉશિંગ્ટન, લંડન અને બ્રસેલ્સ ઉપરાંત મૉસ્કોની મુલાકાતે મોકલ્યાં છે. ભારતમાં વિરોધ પક્ષના નેતાઓએ વિવાદ ઊભા કરીને પાકિસ્તાનને જ મદદ કરી છે.

વડા પ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે હવે ભારત ઉપર આતંકી હુમલો થશે તો તેનું પરિણામ પાકિસ્તાને ભોગવવું પડશે. આતંકવાદી અને પાકિસ્તાની સરકાર અલગ નથી. અત્યાર સુધી પાકિસ્તાને આતંકવાદીઓને `અળગા' રાખીને પોતાનો બચાવ કર્યો હતો પણ આતંકવાદીઓના જનાજામાં જોડાયા અને કફન ઉપર પાકિસ્તાની ઝંડા લપેટયા પછી વધુ પુરાવાની જરૂર નથી રહી અને હવે પાકિસ્તાની પંજાબની વિધાનસભાના સ્પીકર મલિક અહમદ ખાને લશ્કર-એ- તોયબાને સમર્થન આપ્યું છે. જાહેરસભામાં સૈફુલ્લા કસુરીની સાથે બેઠા હતા. પહલગામમાં આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ કસુરીને-પૂરી તપાસ કર્યા વિના ગુનેગાર કહી શકાય નહીં!

આમ એક બાબત સ્પષ્ટ છે અને આપણને તેનું આશ્ચર્ય નથી કે પાકિસ્તાની આતંકનો અંત આસાન નથી. કમનસીબે આપણા-સ્વદેશી વિરોધ પક્ષને દેશહિતની પરવા નથી. સંસદનું વિશેષ સત્ર બોલાવાય તો ઘણી ગુપ્ત માહિતી આપવા સરકાર ઉપર દબાણ થાય અને આવી માહિતીનો ઉપયોગ સરકાર વિરોધી પ્રચાર કરવા માટે થાય. દેશના દુશ્મનને પણ ફાયદો થાય. આથી એકમાત્ર વિપક્ષી નેતા-પૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે વિશેષ સત્રનો વિરોધ કર્યો છે.

કૉંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુર્શિદે ભારત સરકારના નિર્ણયના ટીકાકારોને એક પ્રશ્ન પૂછીને ઘણું કહી દીધું છે:

દેશભક્ત બનવું આટલું બધું મુશ્કેલ છે?