• શુક્રવાર, 13 જૂન, 2025

માનવસર્જિત દુર્ઘટના

ભારતની જીવન રેખા - ગણાતી, લેખાવાતી ભારતીય રેલવેમાં અકસ્માતમાં પ્રવાસીઓનાં મૃત્યુની ઘટનાઓ નોંધાતી હોય છે. મુંબઈની લોકલમાં દરવાજા ઉપર ઊભેલા, લટકતા લોકો પડી જવાની - એકલ - દોકલ ઘટના બનતી હોય છે પણ બે ગાડીઓ સામસામે ધસમસતી આવતી હોય ત્યારે દરવાજામાંથી બહાર ફેંકાઈ જવાની ગમખ્વાર ઘટના રેલવે તંત્ર માટે ઉપાય શોધવાનો પડકાર છે.

સોમવારે સવારે સેન્ટ્રલ રેલવે લાઇન ઉપરની આ ઘટનામાં ચાર વ્યક્તિ તાત્કાલિક મરણ પામ્યાં છે અને બીજા ચાર ઘાયલ થયા છે.

આ દુર્ઘટનાનાં કારણોની તપાસના અહેવાલ આવ્યા પછી ઉપાયનાં પગલાં વિચારાશે અને લેવાશે. આ દરમિયાન હવે અૉટોમેટિક દરવાજાની વ્યવસ્થા થઈ રહી છે પણ મુખ્ય કારણ ગિરદી છે. અંદર ભીંસાતા લોકો દરવાજા પાસે તાજી હવા મેળવવા ઊભા હોય છે તો ઘણા યુવાનો બહાદુરી બતાવવા માટે સર્કસ કરતા હોય તેમ લટકવાનું પસંદ કરે છે. સેન્ટ્રલ રેલવે દ્વારા રોજના 26 લાખ લોકો પ્રવાસ કરે છે તેના ઉપરથી કલ્પના કરી શકાય કે મહાનગરમાં અવર-જવર - પ્રવાસ કરવાનો પડકાર કેટલો ગંભીર છે. 

મહાનગર મુંબઈમાં કોસ્ટલ રોડ, મોનોરેલ, મેટ્રો ઉપરાંત વાહનોની સંખ્યા અને સગવડ વધતી જાય છે છતાં તે વસ્તી વધારા અને લોકોની જરૂરિયાત માટે ઓછી પડે છે. હવે નોન-એસી લોકલમાં અૉટોમેટિક દરવાજા બેસાડાશે પણ મૂળ તો લોકોને પોતાના જીવ વહાલા લાગવા જોઈએ. જીવના જોખમ સામે સાવધાન રહેવું જોઈએ. માત્ર રેલવે તંત્રને દોષ આપીને રાજીનામાં માગવાનું કામ વિરોધ પક્ષોનું હોય છે - તેનાથી - માનવસર્જિત અકસ્માત અને દુર્ઘટના ટાળી શકાતાં નથી.