• શુક્રવાર, 13 જૂન, 2025

દેવેન્દ્ર ફડણવીસ રજૂ કરે છે મોદી શાસનનો રિપોર્ટ કાર્ડ

કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી શાસનનાં અગિયાર વર્ષ દરમિયાન મહારાષ્ટ્રને રૂા. 10.5 લાખ કરોડની સહાય મળી છે જે યુપીએ શાસનનાં દસ વર્ષમાં મળેલા 1.23 લાખ કરોડથી દસગણી વધુ છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે.

યોગાનુયોગ સેન્ટ્રલ રેલવેમાં થયેલી દુર્ઘટના પછી પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાને મુંબઈમાં વાહનવ્યવહાર સહિત પાયાની જરૂરિયાતોના વિકાસ માટે મળેલી સહાયની વિગત આપી છે. મુંબઈની રેલવે યોજનાઓ માટે 1.75 લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે. ગ્રામ્ય મહારાષ્ટ્રમાં આવાસ યોજનાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 30 લાખ નવાં ઘર બાંધવા માટે અપાયાં છે. પ્રથમ યાદીનાં 20 લાખ ઘર આ વર્ષે જ ફાળવાશે.

વડા પ્રધાન મોદીનાં અગિયાર વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે મુખ્ય પ્રધાને આ જાહેરાતો કરીને રાજ્યમાં મોદીના વિરોધીઓને જવાબ આપ્યો છે. વડા પ્રધાન વતી મુખ્ય પ્રધાને `િરપોર્ટ' રજૂ કર્યો છે. 81 કરોડ લોકોને વિનામૂલ્યે રૅશન અપાયું છે. બાર કરોડ ટોઈલેટ બંધાવ્યાં છે. 55 કરોડ નવાં જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ એકાવન કરોડ લોકોને મળ્યો છે. આયુષ્યમાન ભારત યોજનામાં 77 કરોડ લોકો જોડાયા છે.

મોદી શાસનનાં અગિયાર વર્ષમાં મહારાષ્ટ્રના કૃષિક્ષેત્રનો વિકાસ પાંચગણો થયો છે. પીએમ કિસાન યોજના હેઠળ રૂા. 3.7 લાખ કરોડ ફાળવાયા છે તેનો લાભ અગિયાર કરોડ કિસાનોને મળ્યો છે. યુપીએ સરકારે રૂા. 80 હજાર કરોડની લોન માફી આપી હતી. મોદી સરકારે 3.7 કરોડ ફાળવ્યા. રેલવે વિકાસ માટે - પ્રવાસીઓની સુવિધા, નવી સિગ્નલ સિસ્ટમ, પ્લૅટફૉર્મ સુધારણા, નવી રેલવેલાઇનો વગેરેને મહત્ત્વ અપાયું છે. આમ છતાં પ્રવાસીઓ માટે વધુ ટ્રેનો જરૂરી છે. મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે કે, તાજેતરની દુર્ઘટના પછી રેલવેપ્રધાને મુંબઈ માટે વધુ ટ્રેનો આપવાની ખાતરી આપી છે. નવી એસી ટ્રેનોનાં ભાડાં નહીં વધારાય.

બેસ્ટ કોઈ સંજોગોમાં બંધ નહીં થાય અને બસની સંખ્યા વધારવામાં આવશે. અત્યારે પાંચ હજાર વધુ બસોના અૉર્ડર અપાઈ ચૂક્યા છે. તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ એક છત્ર નીચે લાવવા માટે યુનિફાઈડ મેટ્રો પોલિટન ટ્રાન્સપોર્ટ અૉથોરિટી નિમાય રહી છે. મુખ્ય પ્રધાને કહ્યું છે કે, ધારાવીના વિકાસને ત્યાંના લોકો- રહેવાસીઓએ સ્વીકારીને રિ-ડેવલપમેન્ટની મંજૂરી આપી છે. માત્ર ચાર કૉંગ્રેસી ધારાસભ્યો વિરોધમાં મોરચો કાઢે એટલે તમામ લોકોનો વિરોધ નથી. આઠથી દસ લાખ લોકોને ઘર મળશે.

મુખ્ય પ્રધાને મોદી શાસનનાં અગિયાર વર્ષ સાથે રાજ્ય સરકારની ઝડપી કામગીરીનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યો છે તેના ઉપર વિપક્ષ-કૉંગ્રેસ અને ઉદ્ધવ સેનાના પ્રત્યાઘાત કેવા આવે છે તે જોવાનું છે.