• શુક્રવાર, 13 જૂન, 2025

લીલી ઝંડી, પાકને લાલ આંખ

પાકિસ્તાની આતંકીઓએ પહલગામમાં કરેલા હિન્દુ પર્યટકોના હત્યાકાંડ પછી કાશ્મીરની મુલાકાત લઈને વડા પ્રધાન મોદીએ ઘોષણા કરી છે કે અૉપરેશન સિંદૂર પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકના ભયનો અંત આવે છે. બાવીસમી એપ્રિલના આતંકી હુમલા પછી મોદીએ કાશ્મીરની મુલાકાતમાં કતરાથી શ્રીનગરની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી સાથે પાકિસ્તાનને લાલ આંખ બતાવી છે!

કતરા ખાતે જાહેરસભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે...

‘જમ્મુ-કાશ્મીરના વિકાસ અને પ્રગતિને વિશ્વના કોઈપણ દેશની સત્તા રોકી નહીં શકે. વિકાસની ગતિ ધીમી નહીં થાય - આજે પણ નહીં અને આવનારા દિવસોમાં પણ નહીં - વિકાસ રોકવાના પ્રયાસ કરનારાએ પહેલાં મારી સામે આવવું પડશે’ એવું અભયવચન જમ્મુ-કાશ્મીરને અને સ્પષ્ટ ચેતવણી પાકિસ્તાનને આપી છે.

પાકિસ્તાની આતંકી હુમલાનો આશય કાશ્મીરમાં વિકાસ અને ટૂરિઝમ - ખતમ કરવાનો હતો. ઇન્સાનિયત અને કાશ્મીરીયત ઉપર પહલગામમાં હુમલો થયો હતો પણ ભારતે યોગ્ય જવાબ આપ્યો. આતંકીઓ ઉપર કયામત વરસી. હવે પાકિસ્તાન જ્યારે પણ અૉપરેશન સિંદૂરનું નામ સાંભળશે તો તેને શરમજનક પરાજય યાદ આવશે અને કાંપી ઊઠશે. પાકિસ્તાની સેના અને આતંકીઓએ ક્યારેય કલ્પના પણ કરી નહીં હોય કે ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આવી રીતે હુમલા કરશે. વર્ષોની મહેનતથી એમણે અડ્ડા બનાવ્યા હતા તે ગણતરીના સમયમાં જ ખંડેર બની ગયા છે! ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાને જોડતા 272 કિમીના અંતરને જોડતી રેલવે લાઇન ત્રણ દાયકા પછી પૂરી થાય છે. બારામુલ્લા અને કતરા વચ્ચેની વંદે ભારત એક્સ્પ્રેસને પણ લીલી ઝંડી બતાવી છે. આ પ્રસંગે પહલગામ આતંકી હુમલાને યાદ કરીને વડા પ્રધાને કહ્યું કે આતંકીઓને પીઠબળ આપનારાઓને પણ શરમજનક પરાજયનો સંદેશ મળ્યો છે.

પાકિસ્તાનનાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા તથા ચર્ચ ઉપર હુમલા કરીને સામાજિક ભાગલા કરવાના કારસા નિષ્ફળ ગયા છે. કોમવાદી ઉશ્કેરણી કરવામાં પણ ફાવ્યા નથી પણ લોકોની એકતાએ સજ્જડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને આખરે કાશ્મીરમાં અસ્થિરતા જગાવીને અર્થતંત્ર - વિકાસ ખોરવી નાખવાના પ્રયાસ કરી જોયા. ભારતના યુવા વર્ગ - વિશેષ કરીને જમ્મુ-કાશ્મીરના યુવાનોને એમણે આહ્વાન કર્યું કે અૉપરેશન સિંદૂરમાંથી પ્રેરણા મેળવો. આપણી સેનાની શક્તિ અને મેઇડ ઇન ઇન્ડિયાનો પ્રભાવ જોઈને સંરક્ષણ ક્ષેત્રમાં નવા સંશોધન કરીને ભારતને વિશ્વમાં સંરક્ષણ સાધન સામગ્રીની નિકાસમાં સફળ દેશ સાબિત કરો.