શોધમાં રાફેલની ઉડાણ : કંઈ હાથ ન લાગ્યું
નવી દિલ્હી, તા. 20 : ઈમ્ફાલ એરપોર્ટ સમીપ રવિવારે અજ્ઞાત આકાશી ચીજ(યુએફઓ) નજરે પડવાની ભેદભરમ ભરેલી સનસનીખેજ ઘટનાને ગંભીરતાથી લઈને ભારતીય વાયુસેનાએ પોતાનાં રાફેલ યુદ્ધ વિમાનોને તેની ખોજમાં મોકલી દીધા હતાં પણ તેને કંઈ સંદિગ્ધ મળી આવ્યું નથી.
આ અજ્ઞાત ઉડતી વસ્તુ રવિવારે બપોરે 2.30 કલાકનાં સુમારે ઈમ્ફાલ એરપોર્ટ ઉપર આકાશમાં દેખાઈ હતી. જેનાં હિસાબે કેટલીક કોમર્શિયલ ફ્લાઇટ્સને પણ અટકાવી દેવી પડી હતી. આ રહસ્યમય ઘટના બાદ તુરંત જ નજીકનાં વાયુમથકેથી રાફેલ યુદ્ધ વિમાનોને તેની તલાશીમાં છોડી દેવામાં આવ્યા હતા.
અત્યાધુનિક સેન્સરથી સજ્જ એવા રાફેલ આ તલાશી અભિયાનમાં સંદિગ્ધ ક્ષેત્રમાં ખૂબ જ નીચેથી ઉડાન ભરીને પસાર કરાવવામાં આવ્યા હતાં પણ ત્યાં કંઈ જ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. સંબંધિત અન્ય એજન્સીઓ પણ આ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.