• શુક્રવાર, 13 જૂન, 2025

મોદીયુગનાં 11 વર્ષ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું કરી લીધું છે. 400 બેઠકના લક્ષ્ય સાથે લોકસભા ચૂંટણી લડનાર ભાજપને પૂર્ણ બહુમતી ન મળી અને જેડી(યુ) તથા ટીડીપીના સાથથી સરકારની રચના થઈ, એ સમયે અંદાજ એવો હતો કે સરકારે ભારે દબાણ હેઠળ કામ કરવું પડશે, પરંતુ ધારણાથી વિપરીત સુશાસનનું પહેલું વર્ષ રાજકીય દૃઢતા અને કડક નિર્ણયોનું રહ્યું. આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર ભારતની વીજળી ત્રાટકી... સિંધુ જળ સંધિ અને વેપાર સંબંધોય સ્થગિત કરતા નિર્ણય સાથે `અૉપરેશન સિંદૂર' હાથ ધરીને નાપાક પડોશીને બરોબરનો પાઠ ભણાવાયો.

આમ, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ, અર્થતંત્ર તેમ જ લોકોને સીધી મદદરૂપ થતી યોજનાઓને જોતાં આખું વર્ષ સફળ રહ્યું. રાજકીય મોરચે જોઈએ, તો ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં નિષ્ફળતા મળી, પણ એ પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી ચૂંટણીમાં ભવ્ય જીતે સરકારનો આત્મવિશ્વાસ વધાર્યો... બે મોટા સહયોગી નીતિશકુમાર અને ચંદ્રાબાબુ પ્રેશર પોલિટિક્સ કરી ન શક્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંદેશમાં યોગ્ય જ કહ્યું છે કે દેશની 140 કરોડ જનતાના આશીર્વાદથી ભારત નોંધપાત્ર પરિવર્તન લાવી શક્યું છે અને બીજી અનેક ઉપલબ્ધિ હાંસલ કરવાની દિશામાં અગ્રેસર છે. 

મોદી સરકાર પાસે અનેક સિદ્ધિઓનું ભાથું છે, સાથે આવનારાં વર્ષો માટેનો પેન્ડિંગ એજન્ડા છે. નરેન્દ્ર મોદીએ સામાન્યજનનું જીવન સરળ બને એ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ગયા બજેટમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત કરીને પગારદાર વર્ગને ખુશ કરી દીધો. એકીકૃત પેન્શન યોજના અને 70 વર્ષથી ઉપરની વયના બુઝુર્ગો માટે આયુષ્યમાન કાર્ડ યોજના જનઉપયોગી છે. એ ઉપરાંત એક રાષ્ટ્ર એક ચૂંટણી પર લોકસભામાં ખરડો લાવીને દૃઢ ઇચ્છાશક્તિ દર્શાવી છે. નવો ફોજદારી કાયદો, જાતિગત વસ્તી ગણતરી, વકફ કાનૂન સંશોધન જેવાં પગલાં ક્રાંતિકારી અને દુરોગામી અસર પાડનારાં કહી શકાય. સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ચિંતિત સરકારે એ દિશામાં કાયદા ધારદાર બનાવ્યા અને લોકોને કૌભાંડીઓનો શિકાર બનતા રોકવા માહિતી પ્રસારનાં પગલાં લીધાં છે.

નક્સલવાદ દેશ સામે મોટો પડકાર રહ્યો છે. માઓવાદ પર કમરતોડ પ્રહાર કરાતાં લાલ આતંકવાદ મરણપથારીએ છે. ગૃહપ્રધાન અમિત શાહે માઓવાદને એપ્રિલ 2026 સુધીમાં નેસ્તનાબૂદ કરી દેવાની બાંહેધરી આપી છે. દક્ષિણ રાજ્યોનો હિન્દી વિરોધ ભારતની એકતાનો રાગ બેસૂરો બનાવી રહ્યો છે.

એનડીએ સકારની સિદ્ધિઓ વચ્ચે ભાજપના દાવા મુજબ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 17 કરોડ નવી નોકરી ઊભી થઈ અને સ્ટાર્ટ-અપથી 1.61 લાખ યુવાનને રોજગાર મળ્યો, પરંતુ કૉંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી શાસનને વિફળ લેખાવી રહ્યા છે. ખાસ તો રોજગારી મોરચે સરકાર કંઈ પરિણામ આપી શકી નથી એવો વિપક્ષનો આરોપ છે. અલબત્ત, ગરીબી નાબૂદીની દિશામાં સારી પ્રગતિ થઈ છે. છેલ્લાં 11 વર્ષમાં ગરીબીમાં 21.8 ટકાનો ઘટાડો નોંધાયો, એનો અર્થ એ કે દેશના 17 કરોડ લોકો અતિ ગરીબીની રેખામાંથી બહાર આવી શક્યા. ગરીબોને મફત અનાજ, ઉજ્જવલા યોજનાએ આ દિશામાં મોટી રાહત આપી છે. એ ઉપરાંત, ટેકનૉલૉજીના ઉપયોગથી રોજબરોજનું જીવન સરળ બનાવવાનાં પગલાં એ નોંધનીય છે. સરકારી યોજનાઓનાં નાણાં ગરીબ, શ્રમજીવી, કિસાનો, મહિલાઓનાં ખાતાંમાં જમા થઈ રહ્યાં છે એ ક્રાંતિકારી કદમ છે.

મોદી સરકારનું લક્ષ્ય 2047 સુધી `િવકસિત ભારત'નું છે. એ દિશામાં ઘણું કામ બાકી છે. એનડીએના ચૂંટણી ઘોષણાપત્રમાં સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ, સમાન નાગરિક કાનૂન તેમ જ દેશમાં તમામ ચૂંટણીઓ માટે જ એક જ મતદાર યાદી જેવાં અપાયેલાં વચનોનું પાલન આવનારાં વર્ષોના એજન્ડામાં રહેશે. આવનારાં વર્ષ મોદી સરકાર માટે ચાવીરૂપ રહેશે. બિહારમાં વિધાનસભા ચૂંટણી વર્ષાન્તે છે. એ સિવાય રાજદ્વારી મોરચે અમેરિકા સાથે સંબંધોમાં સમતુલા કેળવવી પડશે.