અૉપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતીય વિમાનદળના રાફેલ જેટ વિમાનો તોડી પાડયાં - એવો પ્રશ્ન સૌ પહેલાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અને રોજેરોજ - સરકાર અને સેના પાસે જવાબ માગતા રહ્યા છે. હવે આપણા સંયુક્ત સશત્ર દળોના વડા જનરલ અનિલ ચૌધરીએ જે જવાબ આપ્યો છે તેનાથી વિરોધ પક્ષોને સંતોષ થયો નથી. હવે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં પ્રશ્ન એ ઊઠે છે કે વિરોધ પક્ષો - કૉંગ્રેસને આપણે જીત્યા, હાથ ઉપર રહ્યો તેની ખુશી નથી અને સમગ્ર દેશની ખુશીમાં ગાબડું પાડવા માગે છે. આપણી સેનાના પરાક્રમ સામે શંકા જગાવવા માગે છે!
જનરલ ચૌધરીએ સમજાવ્યું છે કે આપણે કેટલાં
જેટ ગુમાવ્યાં - તેના કરતાં આપણને જે નુકસાન થયું તે શા માટે, ક્યા કારણસર થયું તે
જાણવું વધુ મહત્ત્વનું છે. આપણે ટેક્નિલ ક્ષતિ તરત પકડી પાડી, સુધારીને જોરદાર હુમલા
કરીને પાકિસ્તાનનાં જેટ વિમાનો તથા વિમાનમથકોને ભારે નુકસાન પહોંચાડયું છે.
જનરલ ચૌહાણે એમ પણ કહ્યું છે કે બંને બાજુ
- બંને દેશોએ વિચાર અને વર્તનમાં ઘણી શિસ્ત જાળવી છે ત્યારે અણુશત્રો અંગે નહીં જળવાશે
એમ કેવી રીતે કહી શકાય? આપણા જનરલ ચૌહાણ અને પાકિસ્તાનના જનરલ શાહીદ શમશાદ મિરઝાએ કહ્યું
છે કે અણુશત્રોના ઉપયોગનો વિચાર ક્યારેય થયો નથી. ચીન સાથે પાકિસ્તાનના ઘણાં ગાઢ સંબંધ
છે તે છતાં અૉપરેશન સિંદૂર વખતે ચીને મદદ કરી હોય એવા કોઈ ચિહ્ન-એંધાણ જોવા મળ્યા નથી
એમ પણ જનરલ ચૌહાણે કહ્યું છે, ચીને સેટલાઇટની મદદથી ફોટા-માહિતી મોકલી હશે? એવા પ્રશ્નના
જવાબમાં જણાવ્યું કે સેટલાઇટની સેવા-મદદ હવે ચીન ઉપરાંત વ્યાપારી ધોરણે પણ મળી શકે
છે.
અૉપરેશન સિંદૂર દરમિયાન સેનાના પ્રવક્તા
પ્રેસ પરિષદમાં તાજી ઘટનાઓની માહિતી આપતા હતા પણ આપણાં જેટ વિમાનો પાડયાં હોવાની કોઈ
માહિતી જાહેર થઈ નથી. યુદ્ધવિરામનાં ત્રણ અઠવાડિયાં પછી જનરલ ચૌહાણે આ માહિતી આપી છે
પણ છ રાફેલ જેટ ગુમાવ્યાં હોવાની અફવાને રદિયો આપ્યો છે.
રાહુલ ગાંધીએ રાફેલનો પ્રશ્ન સૌપ્રથમ ઉઠાવ્યો
તો શું પાકિસ્તાને આવી માહિતી આપી હશે? પણ રાફેલ તોડયાંનો દાવો પાકિસ્તાને કર્યો ન
હતો - તોડી પાડયાં હોય તો છાપરે ચડીને બૂમાબૂમ કરી હોત. રાહુલ ગાંધી મોદી અને રાફેલ
વિમાનો ઉપર નિશાન સાધી-તાકી રહ્યા છે. રાફેલના સોદામાં ભ્રષ્ટાચાર પકડવા એમણે ફ્રાન્સનો
ધરમ ધક્કો ખાધો. ભારતની સુપ્રીમ કોર્ટમાં હારનો `માર' ખાધો પણ અૉપરેશન સિંદૂરમાં મોદી
અને રાફેલ સોદાને તોડી પાડવાનો નવો અવસર દેખાયો.
હવે સંસદની બેઠક મળે ત્યારે તેઓ મોદીને
પ્રશ્નો પૂછવા માગે છે - પણ કેટલાક પ્રશ્નોના જવાબ એમણે પણ આપવા પડશે!