આતંકવાદનો બચાવ કરતા પાકિસ્તાનની વધુ એક પીછેહઠ થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળોના વિશ્વ પ્રવાસ અને પ્રયાસની આ સફળતા છે. યુનાઈટેડ નેશન્સની સલામતી સમિતિમાં આતંકવાદની ચર્ચા-િવચારણા કરતી પાંચ પેટા-સમિતિઓના અધ્યક્ષપદ માટે પાકિસ્તાનનો દાવો હતો પણ અન્ય સભ્ય દેશોના વિરોધના પરિણામે માત્ર એક તાલિબાનને લગતી સમિતિમાં જ સ્થાન મળ્યું છે! પાકિસ્તાનની ‘ગેરવાજબી’ માગણીનો અસ્વીકાર થયો છે. સલામતી સમિતિના અન્ય સભ્ય દેશોએ પાકિસ્તાનના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
તાલિબાન ઉપર નિયંત્રણો મૂકવાં અંગેની સમિતિના ઉપાધ્યક્ષ રશિયા
અને ગુયાના છે. ભારતે આ સમિતિનું અધ્યક્ષપદ 1988માં સંભાળ્યું હતું. આ ઉપરાંત અન્ય
પેટા-સમિતિઓનાં અધ્યક્ષપદે પણ ભારત રહી ચૂક્યું છે. પાકિસ્તાનના સંબંધ અને રક્ષણ અપાયાનો
ઇતિહાસ છે. ઓસામા બિન લાદેન - જે પાકિસ્તાનમાં છુપાયો હતો અને અમેરિકાએ તેને ઠાર કર્યો
હતો. યુનાઈટેડ નેશન્સે જેને ખૂનખાર આતંકવાદી જાહેર કર્યો હતો તે ડેવિડ હેડલીએ પાકિસ્તાનમાં
આતંકીઓનાં તાલીમ કેન્દ્ર શરૂ કર્યાં હતાં. આમ પાકિસ્તાન આતંકવાદીઓને પોષે છે અને રક્ષણ
આપે છે એ હકીકત વિશ્વ જાણે છે. ભૂતકાળમાં સલામતી સમિતિની પેટા-સમિતિઓએ નિયંત્રણો મૂકવાની ભલામણો કરી છે. સામાન્ય રીતે
પેટા-સમિતિઓનાં અધ્યક્ષપદ જાન્યુઆરીમાં નક્કી થઈ જાય છે પણ આ વખતે પાકિસ્તાનના દાવા
અને દબાણના કારણે વિલંબ થયો છે. હવે એકમાત્ર પેટા-સમિતિમાં અધ્યક્ષપદ મળ્યા પછી પાકિસ્તાન
ભારત ઉપર બેફામ આક્ષેપો કરવાના પ્રયાસ કરે તો અન્ય સભ્ય દેશો ‘બ્રેક’ મારશે એમ મનાય
છે. આ પેટા-સમિતિઓનાં અધ્યક્ષપદ શોભાના ગાંઠિયા જેવાં હોય છે અને તેથી જ સલામતી સમિતિના
પાંચ કાયમી સભ્યદેશો - અમેરિકા, રશિયા, ફ્રાન્સ, યુકે અને ચીનને રસ હોતો નથી. કામચલાઉ
સભ્યો-પાકિસ્તાનની જેમ-ભાષણો કરીને સંતોષ માને છે!
તાલિબાન બાબતની પેટા-સમિતિનું મુખ્ય કામ તાલિબાન સાથે જોડાયેલાં
જૂથ ઉપર મુકાયેલાં નિયંત્રણોનું પાલન થાય છે કે નહીં તે જોવાનું છે. તેથી ઉપાધ્યક્ષપદે
રશિયા અને ગુયાના હોવાથી ભારતવિરોધી આક્ષેપો નહીં ચલાવી લેવાય એવી ધારણા છે અને ભારત
નિશ્ચિંત છે.
ભારતીય પ્રતિનિધિમંડળોએ વિશ્વમાં મહત્ત્વના દેશોનો પ્રવાસ
કરીને આતંકી હુમલામાં પાકિસ્તાની હાથ હોવાના પુરાવા રજૂ કરીને ભારતવિરોધી પ્રચાર આડે
પાળ બાંધી છે ત્યારે ભારતના વિરોધપક્ષો જે ભારતને નિષ્ફળતા મળ્યાની ટીકા કરે છે તેનો
પરપોટો ફૂટી ગયો છે!