અમદાવાદમાં લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું ને 270 લોકોનો ભોગ લેવાયો એ પછી દુનિયાભરમાં વિમાન કંપનીઓ અને પ્રવાસીઓનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. નાની સરખી ખરાબીની શંકા પરથી વિમાન રદ કરી દેવામાં આવે છે કે પાછા વાળવામાં આવે છે. દિલ્હી જતું વિમાન સોમવારે તાંત્રિક ખામી સાર્જાતાં હૉંગકૉંગ પરત ફર્યું. દરમિયાન રવિવારે કેટલાક ગોઝારા બનાવોએ અરેરાટી જગાવી. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ઇન્દ્રાયણી નદી પરનો જૂનો પુલ ધસી પડતાં અનેક લોકો તણાઈ ગયા જેમાં છ લોકોનાં મોત થયાં. બીજી તરફ મથુરામાં ખડક તૂટીને મકાનો પર ખાબકતાં કેટલાક લોકોનો જીવનદીપ બુઝાઈ ગયો. કેદારનાથના યાત્રિકોને લઈને ઊડેલું હેલિકૉપ્ટર ક્રેશ થતાં સાત જણ માર્યા ગયા. ઉત્તરાખંડમાં આ પહેલી દુર્ઘટના નથી. ચારધામ યાત્રા પરાકાષ્ઠાએ છે, ત્યારે ઉપરાઉપરી સર્જાતાં અકસ્માતોએ અનેક સવાલ ઊભા કર્યા છે. ઉત્તરાખંડ સરકારે હેલિકૉપ્ટર સેવા સ્થગિત કરી દઈ સુરક્ષાના માપદંડોની સમીક્ષા હાથ ધરી છે, પણ સવાલ એ છે કે, અત્યાર સુધી શા માટે આવું ચાલવા દીધું?
હેલિકૉપ્ટર
સેવામાં અનેક પ્રકારની બેદરકારી જોવા મળી છે, અન્યથા 40 દિવસમાં પાંચમી હેલિકૉપ્ટર દુર્ઘટના ન થાય. 8મી મેએss ગંગોત્રીધામ જતું ચોપર ઉત્તરકાશી જિલ્લામાં અકસ્માતનો ભોગ બનતાં છ જણે જીવ ગુમાવ્યા, એ પછી 7મી જૂને કેદારનાથ જતાં હેલિકૉપ્ટરે ટેક્નિકલ ખામીને લીધે રસ્તા પર તાકીદનું ઊતરાણ કરવું પડયું હતું, જેમાં પાઈલટને ઇજા પહોંચી. એ પછી ડાયરેકટર અૉફ સિવિલ એવિયેશને તપાસ કરીને ઉડાનસેવા પર 35 ટકા કાપ મૂકી દીધો હતો કેમ કે, હેલિકૉપ્ટર સેવાના સ્થળે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવી સ્થિતિ જોવા મળી. કેદારનાથ માટે 2004માં હેલિકૉપ્ટર સેવા શરૂ કરવામાં આવી. જાણકારોના મતે ત્યાં એક એન્જિવાળા ચોપર ઊડે છે. વળી, સંચાલકો માટે કડક જોગવાઈના અભાવે તેમની મનમાની વધતી ગઈ છે. જ્યાં હવામાનની અનિશ્ચિતતા ભારોભાર હોય છે ત્યાં એક એન્જિનવાળાં હેલિકૉપ્ટર ન જ ચાલે આવી બાબતો અગત્યતા માગે છે. લોકોના જીવનના ભોગે કમાણી કરી લેવાની લાલસા જઘન્ય અપરાધ છે.