• શુક્રવાર, 20 જૂન, 2025

અણુયુદ્ધના ભણકારા...

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનાં યુદ્ધને પાંચ દિવસ વીતી ગયા છતાં બંને તરફ પ્રતિશોધની ભભૂકતી જ્વાળાઓ વચ્ચે જાનમાલની મોટી ખુવારી થઈ રહી છે. ઇઝરાયલના પ્રધાને કહ્યું છે કે, તેમને ઈરાનના નાગરિકો સાથે કોઈ વેર નથી, પણ તેહરાન કે બીજાં શહેરોમાં બજાર વચ્ચે, એપાર્ટમેન્ટસ પર, જાહેર સરકારી ઇમારતો પર ખાબકતાં મિસાઇલો-બૉમ્બને લીધે સેંકડોનાં મોત થઈ રહ્યાં છે.

ઈરાન તરફથી આકરો જવાબ મળતાં ઇઝરાયલ પણ આવી જ પરિસ્થિતિ ભોગવી રહ્યું છે, તેલ અવીવમાં તેહરાન જેવી જ હાલત છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, ઈરાન ટકી નહીં શકે, મંત્રણા માટે મજબૂર થવું પડશે, પણ વાત રાષ્ટ્રીય સ્વાભિમાન અને અસ્તિત્વની હોય ત્યારે યુદ્ધ ઉન્માદ પ્રભાવક પુરવાર થતો હોય છે.

ઇઝરાયલ સામે અસ્તિત્વનું સંકટ છે. ઇરાન 1950થી પરમાણુ કાર્યક્રમ ચલાવે છે અને અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો સાથે ઈરાન પરમાણુ કરારથી બંધાયેલું હતું, પણ તમામ કરાર રદ કરવા પડયા કેમ કે, ઈરાન ચોરીછૂપીથી યુરેનિયમથી વીજળીને બદલે અણુબૉમ્બ બનાવવા લાગ્યું હતું. ધૂંધવાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી કે, ઈરાન માનશે નહીં તો તેને બરબાદ કરી દેવામાં આવશે. સામી બાજુ ઈરાન અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, જર્મનીને ચેતવણી આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અણુ એજન્સીની તાજેતરની બેઠકમાં 19 દેશોએ ઈરાનની પરમાણુ નીતિ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. મે- 2025ના એક હેવાલમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, ઈરાન બહુ જલદી 22 અણુબૉમ્બ બનાવવાની ક્ષમતા મેળવી લેશે.

ઈરાને અણુ કાર્યક્રમ સંબંધિત આંતરરાષ્ટ્રીય નીતિ-િનયમોનું ધરાર ઉલ્લંઘન કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની ધાકધમકી અને ઇઝરાયલનું ઉતાવળે આક્રમણ પાછળનું કારણ એ જ છે.

સંઘર્ષમાં ઇઝરાયલ શક્તિશાળી પુરવાર થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું તેને ભરપૂર સમર્થન છે. ભારત માટે આ સંઘર્ષ ચિંતાનો વિષય છે. તેલના ભાવ વધવા માંડયા છે. આપણા હજારો લોકો, છાત્રો ઈરાનમાં ફસાયેલા છે તેમને સહી સલામત બહાર કાઢવાના પ્રયાસો શરૂ થયા છે. વિશ્વ નેતાઓ હાકલા-પડકારા કરે છે. ખોમૈની-ટ્રમ્પ કે નેતન્યાહુના ડંખીલા અભિમાની બોલ પરિસ્થિતિ વણસાવે છે. આખી પેઢીનું અસ્તિત્વ ખતરામાં છે. યુદ્ધનાં વરસતાં વાદળ વહેલી તકે વિખેરાય એ દુનિયાના હિતમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ