ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનાં ભીષણ યુદ્ધથી ભારત છેટું રહ્યું છે, પરંતુ મધ્ય - પૂર્વથી માંડીને યુરોપ સુધી તેની ગરમી પહોંચી ચૂકી છે, ત્યારે કોઇ દેશ તેના પ્રભાવથી બચી શકે એમ નથી. ભારતની ચિંતા એ છે કે ખનિજ તેલના ભાવ ભડકે બળતાં દેશનાં અર્થતંત્ર પર દબાણ વધશે. મોંઘવારી ઊંચે જશે અને આગામી તહેવારો પહેલાં બજાર અને ગ્રાહકોનો મૂડ બગડશે. ભારત ઇરાન પાસેથી સૌથી વધુ ખનિજ તેલ અને ગૅસની આયાત કરે છે. એટલું જ નહીં, દુનિયાના જે દેશોને તેલ - ગૅસની થતી નિકાસમાં 20 ટકા હિસ્સો ઇરાનનો છે. જો ક્રૂડ તેલની કિંમતમાં પ્રતિ બેરલ એક ડૉલરનો વધારો થાય તો ભારતનું આયાત બિલ 14 હજાર કરોડ વધી જશે. ઇઝરાયલ - ઇરાન યુદ્ધ છેડાતાં ખનિજ તેલની કિંમતમાં લગભગ સાત ટકાનો વધારો થઇ ચૂક્યો છે. તેલ કંપનીઓ ચિંતામાં મુકાઇ છે અને ભારત જેવા વિકાસલક્ષી દેશો માટે ઉચાટ વધ્યો છે કે સંઘર્ષ અટકશે ક્યારે? છેલ્લાં કેટલાંક અઠવાડિયાં દરમ્યાન ખનિજ તેલ 10 ડૉલર મોંઘું થયું છે, તેમાં ટ્રમ્પની ટેરિફનીતિ પણ કારણભૂત છે. ખનિજ તેલની કિંમત વધતી ચાલી તો ભારતના જીડીપી પર દોઢ ટકા સુધીની વિપરીત અસર થઇ શકે છે. ફુગાવો હાલમાં અંકુશમાં છે, જે ઊંચો જશે અને રૂપિયાની કિંમત ગગડશે... આ સંજોગોમાં ભારતની વિકાસ યોજનાઓની ગતિ ધીમી પડે એવી ભીતિ સેવાય છે.