• બુધવાર, 02 જુલાઈ, 2025

હિન્દુત્વ પછી હવે હિન્દી ભાષાનો વિરોધ

મહારાષ્ટ્રના રાજકારણમાં હવે હિન્દુત્વ પછી હિન્દી ભાષાનો વિવાદ મુખ્ય મુદ્દો બની રહ્યો છે. અત્યાર સુધી તામિલનાડુના નેતાઓ હિન્દી ભાષા વિરોધી આંદોલનમાં મોખરે હતા. પચાસ વર્ષ પહેલાં તામિલનાડુમાં હિન્દી ભાષા વિરોધી હિંસક આંદોલન થયું હતું પણ સમય જતાં હવે હિન્દી ભાષાનો સ્વીકાર કરવામાં તમિળ ફિલ્મ ઉદ્યોગ મોખરે છે!

મહારાષ્ટ્રમાં પ્રાથમિક - સરકારી તથા ખાનગી શાળાઓમાં `િત્રભાષા' શીખવવાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. તે મુજબ મરાઠી ભાષા ફરજિયાત છે અને `ઇંગ્લિશ' - ઉપરાંત હિન્દી અથવા અન્ય કોઈપણ ભારતીય ભાષાની પસંદગી કરી શકાય. પણ હિન્દી ભાષા ફરજિયાત બનાવીને મહારાષ્ટ્ર ઉપર `ઠોકી બેસાડવામાં આવે છે' એવો આક્ષેપ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાપક નેતા રાજ ઠાકરેએ કર્યા પછી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સ્થાપક શરદ પવાર તથા કૉંગ્રેસ પક્ષ પણ વિરોધમાં જોડાયા છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને મહારાષ્ટ્ર સરકારના વિરોધમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે અલગ અલગ દિવસે વિરોધ યાત્રા કરનાર હતા પણ ઉદ્ધવ સેનાના પ્રવક્તાના જણાવવા અનુસાર રાજ ઠાકરેએ રજૂઆત કરી કે અલગ આંદોલનની યોગ્ય અસર અથવા સંદેશ મળે નહીં તેથી એકસાથે વિરોધમાં એકતા બતાવવી જોઈએ. હવે સંયુક્ત મોરચો હશે.

ઠાકરે બંધુઓ - પરિવારની એકતા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. વિશેષ કરીને મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં ભાજપ અને અજિત રાષ્ટ્રવાદી કૉંગ્રેસ તથા શિંદે શિવસેનાનો મુકાબલો કરવા માટે મહાયુતિ મોરચાને ઠાકરે એકતાની શક્તિ મળશે એવી ગણતરી છે. હિન્દી વિરોધી મોરચો રાજકીય જંગમાં પણ હશે અને સુધરાઈની ચૂંટણીમાં સફળતા મળે તો પછી વિધાનસભા - લોકસભામાં જોરદાર પડકાર અને લડત આપી શકાશે એવો વિશ્વાસ વ્યક્ત થાય છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે રાજ ઠાકરેને સલાહ આપી છે કે અનુરોધ કર્યો છે કે સચીન તેંડુલકરને આ વિવાદમાં ખેંચવાની જરૂર નથી, યોગ્ય નથી. એમને ક્રિકેટ વિષે પૂછો - પણ ભાષાના વિવાદ વિષે નહીં! અગાઉ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના સાહિત્યકારો, ખેલાડીઓ વગેરેને ફરજિયાત હિન્દી ભાષા વિષે અભિપ્રાય માગવાની વાત કરી હતી તેનો જવાબ પવાર સાહેબે આપ્યો છે.

પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઇતિહાસના પુરાવા આપ્યા છે: વર્ષ 2020માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ મંજૂર થઈ ત્યારે વિદ્યાર્થીઓ ગમે તે ભારતીય ભાષા સ્વીકારે તેવી જોગવાઈની પણ મહારાષ્ટ્રમાં નીતિ નક્કી કરવા માટે ઉદ્ધવ સરકારે 18 સભ્યોની સમિતિ 2021માં નીમી હતી. તેના રિપોર્ટમાં જણાવાયું હતું કે મરાઠી સાથે ઇંગ્લિશ અને હિન્દી પણ ફરજિયાત બનાવી શકાય.

ઉપરોક્ત સમિતિમાં જાણીતા સાહિત્યકારો અને ભાષાવિદો સામેલ હતા - શું તેઓ બધા મહારાષ્ટ્ર અને મરાઠી વિરુદ્ધ હતા?