• શનિવાર, 27 એપ્રિલ, 2024

જાન્હવી કપૂરે 50મી વખત કર્યા તિરુપતિ બાલાજીનાં દર્શન

બૉલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર ફિલ્મો કરતાં વધુ અંગત જીવનને કારણે ચર્ચામાં રહેતી હોય છે. વીડિયો ઈન્ફ્લુએન્સર ઓરીએ તાજેતરમાં જાન્હવી કપૂર અને કથિત બૉયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયા સાથે તિરુપતિ દર્શનની યાત્રાનો વ્લોગ શેર કર્યો હતો. વીડિયોમાં જાન્હવીએ જણાવ્યું હતું કે, તિરુપતિ બાલાજીના દર્શન બાદ વિનમ્રતા પ્રાપ્ત થાય છે. નોંધનીય છે કે જાન્હવી અવારનવાર શિખર સાથે મંદિરમાં દર્શને જતી હોય છે, પણ તિરુપતિ બાલાજી જાન્હવી માટે વધુ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેની માતા દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ અહીં દર્શને આવતી હતી. તાજેતરમાં તેણે 50મી વખત તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં હતાં. આ પહેલાં તે છઠ્ઠી માર્ચે તેના જન્મદિને પણ શિખર સાથે ભગવાનના દર્શને પહોંચી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી સાઉથના સુપરસ્ટાર રામચરન સાથે ફિલ્મ આરસી16નું શૂટિંગ શરૂ કરશે. મહત્ત્વની વાત એ પણ છે કે, જાન્હવી જુનિયર એનટીઆરની ફિલ્મ દેવારાથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ દસમી અૉક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે.