• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

શરદ પવારનું માન-સ્થાન જળવાશે?

રાજ્યસભામાં મહારાષ્ટ્રની સાત બેઠકો પૂરવાની છે તેમાં છ બેઠકો મહાયુતિ માટે નિશ્ચિત છે અને બાકીની એક બેઠક માટે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં કસાકસી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદચન્દ્ર પવાર રાજ્યસભામાં - મુદત પૂરી થતી હોવાથી નિવૃત્ત થઈ રહ્યા છે તેથી એમનાં પુત્રી સુપ્રિયા સુળે કહે છે કે પવારસાહેબ રાજ્યસભામાં હોવા જોઈએ. એમને બેઠક મળવી જોઈએ. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના યુવા નેતા આદિત્ય ઠાકરેનો આગ્રહ છે કે આ એક બેઠક ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના ઉમેદવારને મળવી જોઈએ. 2020માં અમે રાષ્ટ્રવાદીને એક બેઠક આપી જ હતી, આ વખતે અમને મળવી જોઈએ.

શરદ પવાર મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા છે અને રાજકીય કટોકટીમાં એમણે ઉદ્ધવ ઠાકરેને માર્ગદર્શન અને મદદ આપી હતી. તેથી ઉદ્ધવ ઠાકરે એમનું - પવારસાહેબનું માન અને સ્થાન જાળવશે એમ આઘાડીનાં સૂત્રો માને છે, પણ રાષ્ટ્રીય રાજકારણમાં પવારસાહેબનો પ્રભાવ ઘણો ઘટી ગયો છે. મહારાષ્ટ્રમાં પણ અજિતદાદા પવારનો હાથ ઉપર રહ્યો છે. જોકે, વિમાન-અકસ્માતમાં એમનું મૃત્યુ થયા પછી રાષ્ટ્રવાદીમાં `એકતા'ની અટકળો હજુ સંભળાય છે. આદિત્ય ઠાકરેએ રાજ્યસભાની આ એક બેઠકની ચૂંટણીમાં મુંબઈના ભવિષ્યનો મુદ્દો ઉઠાવ્યો છે. ધારાવી પછી મુંબઈ અને મહારાષ્ટ્ર પણ વેચાઈ જશે, એમ કહીને આદિત્ય કહે છે કે છેલ્લાં પાંચ વર્ષથી અમે ઇન્ડિયા ગ્રુપમાં અણનમ રહ્યા છીએ અને એ જોતાં આ બેઠક ઉપર અમારો દાવો મજબૂત છે.

વિપક્ષી મોરચાના ત્રીજા પક્ષ - કૉંગ્રેસ આ ખેંચતાણમાં જોડાવા ઉત્સુક નથી. શક્ય છે કે આખરે પવારસાહેબનું માન-સ્થાન જળવાય, પણ આ માટે ખેંચતાણ અને વિવાદના કારણે પવારસાહેબને જરૂર ક્ષોભ થાય તે સ્વાભાવિક છે.