સરકારી ઇમારતોને શું થઈ રહ્યું છે? ક્યાંક આગ લાગી રહી છે, ક્યાંક બિલ્ડિંગ પડી રહ્યું છે? જયપુરની સવાઈ માનાસિંહ (એસએમએસ) હૉસ્પિટલના ન્યૂરો આઈસીયુમાં શૉર્ટ-સર્કિટને કારણે લાગેલી આગ મામલે રાજસ્થાન હાઈ કોર્ટે કરેલી આ ટિપ્પણીમાં ગત જુલાઈ મહિનામાં ઝાલાવાડ ગામમાં સરકારી શાળાનું મકાન ધરાશાયી થતાં સાત વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં એ ઘટનાને પણ યાદ કરાઈ હતી. હજી ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજમાં લાગેલી આગમાં 11 નવજાત બાળકો કાળનો કોળિયો બની ગયાં હતાં. હૉસ્પિટલમાં બનતી આવી ઘટનાઓ છતાં નીંભર તંત્રની આંખ ઊઘડતી નથી. ઝાંસીની હૉસ્પિટલમાં નીઓનેટલ આઈસીયુમાં, તો એસએમએસ હૉસ્પિટલના ન્યૂરો આઈસીયુમાં આગ લાગી હતી. એક જગ્યાએ નવજાત બાળકો તો બીજી જગ્યાએ એવા ગંભીર દરદીઓ હતા, આ બંને પોતાની મેળે હલનચલન કરી શકે એવી સ્થિતિમાં નહોતાં. બંને સરકારી હૉસ્પિટલોમાં ફાયર સૅફ્ટી અને મૂળભૂત તકેદારી તથા વ્યવસ્થાનો અભાવ બંને ઘટનાઓમાં ઊડીને આંખે વળગે એવી બાબતો હતી.
એસએમએસ હૉસ્પિટલમાં આગની ઘટના બાદ જે કંઈ
થયું એના ભયાનક અહેવાલો સામે આવી રહ્યા છે, જે વિચલિત કરનારા છે. હૉસ્પિટલના સ્ટાફને
આગ લાગ્યાની જાણકારી મળી છતાં ઝડપી પગલાં લીધાં નહીં અને આગ ફેલાયા બાદ દરદીઓને બચાવવાની
દરકાર પણ કોઈએ લીધી નહોતી. અહેવાલો તો એવા પણ છે કે છ વર્ષ પહેલાં પણ અહીં આવી જ આગ
લાગી હતી. જોકે એ વખતે સદનસીબે જાનહાનિ થઈ નહોતી. વળી, છેલ્લા એક દાયકામાં અહીં મૉક
ડ્રિલ પણ હાથ ધરાઈ નહોતી. સરકારે હવે છ સભ્યોની સમિતિ આગ પાછળનાં કારણોની તપાસ કરવા
માટે નીમી છે, કેટલાક કર્મચારીઓને નિલંબિત કરાયા છે, કોઈકને કાઢી મુકાયા છે અને ફાયર
સૅફ્ટી માટે જવાબદાર એજન્સીનું લાઈસન્સ પણ રદ કરાયું છે. મૃતકોના સંબંધીઓને દસ લાખ
રૂપિયાના વળતરની જાહેરાત કરાઈ છે. સરકાર પોતાનું કાર્ય કર્યાનો સંતોષ લેશે, તપાસ સમિતિનો
અહેવાલ આવશે અને કેટલાક લોકોની નોકરી જશે, બસ વાત પૂરી. દુ:ખદ બાબત એ છે કે છેલ્લાં
કેટલાંય વર્ષોથી આ એક પૅટર્ન બની ગઈ છે. નિર્દોષોના જીવ જાય છે અને સરકાર તપાસનો આદેશ
આપી, વળતર જાહેર કરી સંતોષ માની લે છે. જવાબદાર નક્કી કરવા કરતાં જવાબદારી તય કરી,
ઉદાહરણ બેસે એવાં પગલાં લેવાની સાથે સરકારી હૉસ્પિટલોના કારભારમાં માનવતા-સંવેદના ભળે
એ સમયની માગ છે. મૃતકોના પરિવારોને સાંત્વના કે વળતરની રકમ કરતાં જવાબદાર વ્યક્તિને
યોગ્ય સજા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટેનાં પગલાં લેવાય એ સરકારની ફરજ છે.