યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે દેશ સામે અત્યારે જે અનિશ્ચિતતાઓ મોં ફાડીને ઊભી છે, એ જોતાં આવનારા પડકારજનક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ફિલ્મોદ્યોગ સામેના આર્થિક અંતરાયો વિશે ચર્ચા કરવી બાલિશ અને કદાચ અસંવેદનશીલ ગણાય. પણ આર્થિક નુકસાન એવી વાસ્તવિકતા છે, જેની તરફ આંખ આડા કાન કરી શકાય એમ નથી. અત્યારે તો ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર સહમત થયા છે, પણ પાકિસ્તાનની આતંકવાદને પોષવાની ફિતરત અને શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરવાનો ટ્રૅકરેકોર્ડ જોતાં આ ચર્ચા જરાય અસ્થાને નથી. બોર્ડ અૉફ કન્ટ્રૉલ ફૉર ક્રિકેટ ઈન ઇન્ડિયાએ (બીસીસીઆઈ) નાણાંનો વરસાદ વરસાવતી ટી-20 સ્પર્ધા આઈપીએલને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી સમયોચિત નિર્ણય લીધો છે. જોકે, આના અનેક પ્રત્યાઘાતો પડી શકે એમ છે- જેમાં મૅચ દીઠ સોથી સવાસો કરોડ રૂપિયાના સંભવિત નુકસાન વત્તા બાકીની મૅચો યોજવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કેલેન્ડરમાંથી ડોકાબારી કાઢવાના પડકાર ઉપરાંત જો આ ટુર્નામેન્ટ પડતી મુકાય તો નુકસાનનું પ્રમાણ અસાધારણપણે મોટું થઈ શકે છે. બીજી તરફ ફિલ્મોદ્યોગની હાલત પણ ખરાબ છે. એક તો થિયેટરમાં દર્શકોને ફિલ્મ જોવા માટે ખેંચી લાવવાનું કામ એવરેસ્ટ સર કરવા જેવું થઈ રહ્યું છે, આવામાં અત્યારની પરિસ્થિતિ જોતાં ફિલ્મોને થિયેટરમાં રિલીઝ કરવા અંગે ભારોભાર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. બૉલીવૂડ પર પણ મોટા આર્થિક નુકસાનનું જોખમ ઝળૂંબી રહ્યું છે.
યુદ્ધની પરિસ્થિતિમાં
સૌથી પહેલો માર મનોરંજનનાં માધ્યમો-સાધનોને પડે છે. આમ છતાં ખેલાડીઓ તથા સ્ટેડિયમમાં
આવતા દર્શકોની સલામતીને ધ્યાનમાં રાખતાં અને એનાથી પણ વધુ દેશ સામે પાકિસ્તાન જેવા
આતંકવાદને પોષતા પાડોશી સામે ઝીંક ઝીલવાનો પડકાર હોય ત્યારે બીસીસીઆઈએ લીધેલું આઈપીએલને
એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય મુશ્કેલ છતાં સમયોચિત છે. આઈપીએલની ટીમના માલિકો,
પ્રસારણકર્તા, પ્રાયોજકો તથા ક્રિકેટ બોર્ડ આ બધાને આ નિર્ણયનો ફટકો લાગવાનો છે. ક્રિકેટ
સાથે જોડાયેલા આખા અર્થતંત્રને પણ આનો માર પડવાનો છે. સ્પર્ધામાં હવે 12 લીગ મૅચીસ
અને પ્લેઅૉફ્ફ તબક્કાની ચાર એમ કુલ 16 મૅચીસ રમાવાની બાકી છે. એક અઠવાડિયા પછી પણ સ્થિતિ
સુધરશે અને સ્પર્ધા આગળ ધપાવી શકાશે, એ અત્યારે કહી શકાય એમ નથી. આવામાં, અનિશ્ચિતતાને
કારણે જો સ્પર્ધા રદ થઈ તો વીમા કંપનીઓએ વળતર ચૂકવવાનું થશે.
કોરોનાકાળમાં
બૉલીવૂડ ફિલ્મો સીધી અૉવર-ધ-ટૉપ (ઓટીટી) મંચ પર રિલીઝ થવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જે
હવે યુદ્ધની અનિશ્ચિતતાઓ વચ્ચે આગળ વધશે, એવું લાગે છે. ભૂલ ચૂક માફ નામની રાજકુમાર
રાવ અને વામિકા ગાબીની ફિલ્મ તો થિયેટરમાં રિલીઝ થવાને બદલે સીધી ઓટીટી પર આવવાની જાહેરાત
થઈ ગઈ છે. મે-જૂન મહિનામાં આવનારી અન્ય ફિલ્મોએ પણ પ્રચાર-માર્કાટિંગ સંબંધી ગતવિધિઓ
પર રોક લગાડી દીધી છે. આમાં પુલકિત સમ્રાટ-ઈઝાબેલ કૈફની સ્વાગતમ્ ખુશામદીદ, અર્જુન
રામપાલ-સોનાક્ષી સિન્હાની નિકિતા રોય પણ રિલીઝની તારીખ આગળ ધકેલશે એવું જણાય છે. સુનીલ
શેટ્ટીની કેસરી વીર 23મી મેએ આવવાની હતી, પણ નિર્માતાઓએ ફિલ્મનું પ્રમોશન અટકાવી દીધું
છે. જૂનમાં આવનારી અક્ષયકુમારની હાઉસફુલ 5 અને આમિર ખાનની સિતારે ઝમીન પરના પ્રચાર
પ્રવૃત્તિઓમાં હંગામી બ્રૅક લાગ્યો છે, પણ રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કરાયા નથી. થિયેટરથી
વિમુખ થયેલા દર્શકોને કારણે ફિલ્મોની હાલત ખરાબ છે, હવે અત્યારની પરિસ્થિતિ પડ્યા પર
પાટું જેવો ઘાટ છે.