આ કૉંગ્રેસના નેતાઓને થયું છે શું? મુખ્ય પ્રવક્તા અને વરિષ્ઠ ગણાતા નેતા જયરામ રમેશ હવે ઉદ્ધવ સેનાના સંજય રાઉત સામે સ્પર્ધામાં ઉતર્યા લાગે છે - મોદી સરકાર ઉપર આક્ષેપબાજી અને તદ્દન વાહિયાત આક્ષેપબાજી કરવામાં બેફામ ભાષા - પ્રયોગ કરી રહ્યા છે! ભારત સરકારના પ્રતિનિધિમંડળમાં કેરળના સંસદસભ્ય શશી થરૂરને લેવામાં આવ્યા અને રાહુલ ગાંધીને પૂછ્યું નહીં, મંજૂરી લીધી નહીં. એ ઘા એમને હાડોહાડ લાગી ગયો છે અને મોદી ઉપર ટીકા-પ્રહાર અને આક્ષેપો કરવામાં પોતાના જ પક્ષના શશી થરૂરને નિશાના ઉપર લીધા છે. હદ તો ત્યારે થઈ કે એમણે ભારતીય પ્રતિનિધિઓને પાકિસ્તાની આતંકવાદીઓ સાથે સરખાવ્યા! પહલગામના હત્યારા હજુ પકડાયા નથી - અહીં-તહીં ભટકી રહ્યા છે તેની જેમ આપણા પ્રતિનિધિઓ પણ આમ-તેમ ભટકી રહ્યા છે! આવી સરખામણી ઉચિત છે? સંસદસભ્યો અને અન્ય નિષ્ણાતો વિદેશોમાં પાકિસ્તાનનો પર્દાફાશ કરી રહ્યા છે, ભારતના સંરક્ષણાત્મક - છતાં સંયમી પગલાંની માહિતી આપી રહ્યા છે ત્યારે ભારતના મુખ્ય વિપક્ષ દ્વારા એમની સરખામણી આતંકવાદીઓ સાથે થાય એ ગંભીર દેશદ્રોહ છે.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરામ રમેશ ઉપરાંત અન્ય નેતાઓ
પણ મનફાવે તેવા બેજવાબદાર બફાટ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી અથવા કામચલાઉ ગણાતા
પ્રમુખ ખડગે કોઈ રોક-ટોક કરતા નથી. પણ ખડગે જ્યારે આવી જ ભાષા અને ટીકા કરતા હોય ત્યારે
નાના- મોટા બની બેઠેલા નેતાઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે! ભારતીય પ્રતિનિધિમંડળોમાં
અન્ય પક્ષોના નેતાઓ પણ છે. ઓવૈસીએ તો પાકિસ્તાનના શાસકોના પર્દાફાશથી આગળ વધીને વત્ર
- કપડાં જ ઉતારી લીધાં છે. ઈસ્લામી દેશોની ધરતી ઉપર એમણે ભારતમાં મુસ્લિમો સુખી - સલામત
છે અને પાકિસ્તાનના મુસ્લિમો ના-પાક હોવાનું કહેવા છતાં કૉંગ્રેસના નેતાઓ એમને સમર્થન
અને અભિનંદન આપવા રાજી નથી! આ બતાવે છે કે કૉંગ્રેસની રાષ્ટ્રભક્તિ કેવી છે!
રાહુલ ગાંધી ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપર આક્ષેપ કરે
છે કે એમણે આપણા હુમલાની આગોતરી માહિતી પાકિસ્તાનને આપી દીધી! આવા હાસ્યાસ્પદ આક્ષેપ
કરવા પહેલાં એમણે કોઈ સલાહકારની સલાહ લેવાની જરૂર હતી!
આવી આક્ષેપબાજીથી પ્રશ્ન ઊઠે છે કે અૉપરેશન સિંદૂરની સફળતાથી
કૉંગ્રેસ ખુશ નથી? સમગ્ર દેશને ગૌરવ છે ત્યારે કૉંગ્રેસ દુઃખી છે! અને મમતાદીદીને ચૂંટણી
અને ખુરશી સિવાય કાંઈ દેખાતું નથી. એમનો આક્ષેપ છે કે મોદી સિંદૂરનું રાજકારણ કરે છે!
સિંદૂરના નામ અને રંગથી એક મહિલા ભડકે છે અને મોદીને પડકારે છે કે અત્યારે જ બંગાળમાં
ચૂંટણી કરાવો!
વાસ્તવમાં આ વિપક્ષી નેતાઓ અૉપરેશન સિંદૂરનો વિરોધ અને સફળતાનો
અવિશ્વાસ દર્શાવીને રાજકારણ કરી રહ્યા છે. કૉંગ્રેસનાં નિવેદનો અને આક્ષેપો પાકિસ્તાનને
મદદરૂપ બને છે. વિદેશોમાં આપણાં પ્રતિનિધિમંડળોની કામગીરી નબળી પાડવાનો આ વ્યૂહ- ષડ્યંત્ર
છે. હવે તો સંસદનું વિશેષ સત્ર બોલાવીને આ દેશદ્રોહીઓને જનતાની અદાલતમાં ઊભા કરવા જોઈએ.
25મી જૂને ઇન્દિરા ગાંધીએ ઈમર્જન્સી જાહેર કરીને લોકતંત્રને બંદીવાન બનાવવાની જે ભૂલ
કરી હતી તેની સજા જનતાએ આપી હતી. લોકતંત્રના લોહ પછી હવે તો દેશદ્રોહ થઈ રહ્યો છે તેથી
સંસદ અને પછી જનતાની અદાલતે ચુકાદો આપવો જ પડશે.