• રવિવાર, 01 જૂન, 2025

મણિપુરમાં ચૂંટાયેલી સરકાર બહાલીની કવાયત

મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયાના ત્રણ મહિના બાદ હવે ત્યાં ફરીવાર ચૂંટાયેલી સરકારની બહાલીની માગ થવા લાગી છે. એનડીએના દસ ધારાસભ્યએ રાજ્યપાલને મળીને 44 સભ્યનો તેમને ટેકો હોવાનો દાવો કરીને સરકારની રચના કરવાની માગ કરી છે. આ  ધારાસભ્યોએ સરકારની રચનાની માગ ખરા અર્થમાં લોકોની ઇચ્છા મુજબની હોવાનો દાવો કર્યો છે. આમ અશાંત રાજ્યમાં ફરીવાર ચૂંટાયેલી સરકાર સ્થાપવા માટેનાં ચક્રો ગતિમાન થયાં છે.  મણિપુર વિધાનસભાની સંખ્યા 60 સભ્યની છે અને સંપૂર્ણ બહુમતી માટે 31 સભ્ય જરૂરી છે એટલે 44 સભ્યની સંખ્યા બહુમતી આંકથી ઘણી વધુ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં લગભગ બે વર્ષથી હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ હજી જોઈએ એવા સફળ થયા નથી. મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે જાતીય સંઘર્ષ એટલો બેકાબૂ બન્યો છે કે, તે સમયની રાજ્ય સરકાર માટે તેને કાબૂમાં લેવામાં સફળતા મળી ન હતી. આખરે માજી મુખ્ય પ્રધાન એસ. બીરેનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી. હવે નવેસરથી ચૂંટાયેલી સરકારની સ્થાપનાની માગ સાથે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, તે કયા સંજોગોમાં યોગ્ય ગણી શકાશે. આમ તો રાજ્યપાલ પાસે દાવા કર્યા પછી ભાજપના ધારાસભ્ય થોક ચોપ રાધેશ્યામે કૉંગ્રેસને બાદ કરતાં બાકીના 44 સભ્ય સરકાર રચવા ઉત્સુક હોવાનું કહ્યું છે, પણ મોટો સવાલ એ પણ છે કે આ 44 ધારાસભ્ય પૈકી કોને મુખ્ય પ્રધાન બનાવાશે?

સૌથી મહત્ત્વની બાબત એ છે કે, રાજ્યમાં સરકારની રચનાના મુદ્દે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ હજી સુધી પૂરો ભરોસો ધરાવતું નથી.  સાથોસાથ કેન્દ્ર સરકારે પણ આ વલણમાં ઉમેરો કરતાં મણિપુરમાં રાષ્ટ્રપતિશાસન નહીં હટાવવાનું વલણ લીધું છે. આમ એનડીએના ધારાસભ્યોની માગનો સ્વીકાર થાય તેમ હાલતુરત જણાતું નથી. જોકે, સરકારની રચના માટે અનિવાર્ય છે કે, જનજીવનને સામાન્ય બનાવવા અને કાયમી શાંતિ માટે નક્કર પગલાં લેવાં જોઈએ.  કમનસીબ બાબત એ છે કે, રાજ્યથી માંડીને કેન્દ્ર સરકારના સ્તરે વિવિધ પ્રયાસો તથા સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી છતાં પણ કોઈ પરિણામ આવી શક્યું નથી. ખરેખર તો સરકારની રચનાના પ્રયાસોને સમાંતર બન્ને સમુદાયો વચ્ચે વિશ્વાસ અને સંવાદનો સેતુ પ્રસ્થાપિત કરવાનાં પગલાં લેવાં પર સતત ધ્યાન આપવાની જરૂરત છે. આ જરૂરત ફળીભૂત થશે એટલે સરકારની રચનાનો તખતો આપોઆપ તૈયાર થઈ જશે.