અૉપરેશન સિંદૂર બાદ ભારતે પાકિસ્તાન સામે વૈશ્વિક સ્તરે ખોલેલો રાજદ્વારી મોરચો સર્વપક્ષીય નેતાઓના સંગાથે અસરકારક બની રહ્યો છે. વિશ્વના ચાવીરૂપ દેશોના પ્રવાસથી આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદનો સાચો ચહેરો બતાવવા અને ભારતનાં બદલાયેલાં વલણથી વાકેફ કરાઈ રહ્યાં છે. અત્યારે પાકિસ્તાનને જે થોડાઘણા દેશોનો ટેકો મળી રહ્યો છે, તેને રાજદ્વારી પ્રયાસોથી ખતમ કરવાનો વ્યૂહ ભારતે અપનાવ્યો છે. આમ થાય તો પાકિસ્તાનને તેના નાપાક ઈરાદા ફળીભૂત કરવામાં હતોત્સાહ કરી શકાય તેમ છે.
પહેલગામના હુમલા બાદ ભારતે આતંકવાદની સામે
આક્રમક વ્યૂહ લીધો છે. ભારતે આપેલા જવાબથી હવે આખી દુનિયા સમજી શકી છે કે, આતંકને હવે
કોઈ પણ હિસાબે સાંખી લેવાશે નહીં. અણુબૉમ્બની તાકાત તળે દુનિયાને અને ખાસ તો ભારતને
ડરાવવાનો પ્રયાસ કરતાં રહેલા પાકિસ્તાનને નવી દિલ્હીએ ચેતવણી આપી છે કે, હવે આ ધમકી
ચાલે તેમ નથી. આતંકવાદની સામેના જંગમાં અૉપરેશન સિંદૂર હવે નવી વ્યૂહરચના બની રહ્યંy
છે. આ બધી હકીકતોથી દુનિયાને વાકેફ કરવા ભારતે હવે કમર કસી છે. ખાસ તો પાકિસ્તાને તેને
ત્યાંનાં આતંકી માળખાંને દૂર કરવાની જરા પણ દરકાર કરી નથી, ઊલટું તેમને હંમેશાં બચાવવાની
કોશિશ કરી છે. આ આતંકી માળખાં ભારત અને બાકીની દુનિયાની સામે ભારે જોખમરૂપ બની રહ્યાં
છે. હવે ભારતે દુનિયાને એ વાત સમજાવવાનો પ્રયાસ આદર્યો છે કે, પાકિસ્તાને હંમેશાં જુઠ્ઠાણાં
ફેલાવ્યાં છે. તેણે ભારત સામે પોતાના નાગરિકોને ઢાલ બનાવવાનો પણ છોછ રાખ્યો નથી. નવી
દિલ્હીનો જંગ પાકિસ્તાનની સામાન્ય જનતા સામે
નહીં, પણ આતંકીઓ અને તેમના આકાઓની સામે છે. આની સાથોસાથ સિંધુ જળ સંધિ એટલા માટે સ્થગિત
કરાઈ છે કે, આ સંધિમાં ભારતના હિતનો ખ્યાલ રખાયો ન હતો અને પાકિસ્તાને કદી સારા પાડોશીનો
ધર્મ બજાવ્યો નથી. આ સંધિને સ્થગિત કરાયાથી પોતાની માટે સંવેદના જાગે એવી કોઈ તક પાકિસ્તાનને
મળે નહીં તે માટે ભારતે રાજદ્વારી પ્રયાસ હાથ ધર્યા છે. ભારતવતી સાત પ્રતિનિધિમંડળ
વિશ્વમાં મોકલાયાં છે. આ તમામ પ્રતિનિધિમંડળોમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ
કરાયો છે. આનાથી દુનિયાને સ્પષ્ટ સંદેશ જઈ રહ્યો છે કે, ભારતમાં રાજકીય મતભેદોને વિસરીને
રાષ્ટ્રીય હિતમાં આખો દેશ એકસૂર વ્યક્ત કરી રહ્યો છે. આમ આ રાજદ્વારી પહેલ દુનિયા સમક્ષ
ભારતની એકતાનો સંદેશ આપે છે અને પાકિસ્તાનની સામે હવે કડક કાર્યવાહીની એકસૂરની ચેતવણી
પણ બની રહી છે.