• રવિવાર, 01 જૂન, 2025

એક તીરથી અનેક નિશાન મોદીનો સીમાપાર સંદેઈં

હવે કચ્છ નજીકના પાડોશી સિંધના લોકો - વિશેષ કરીને યુવા વર્ગને ઉદ્દેશીને કચ્છની સાહસવૃત્તિ અને સમૃદ્ધિની વાત કરીને એમની આંખોમાં ભારતના વિકાસ અને જાહોજલાલી આંજી છે! અને પાકિસ્તાનના શાસકોના દિલો-િદમાગમાં વસેલા આતંકીઓને ખતમ કરીને આતંકની બીમારીથી મુક્ત કરવા સલાહ નહીં - આહ્વાન કર્યું છે. “પાકિસ્તાનકે આવામ કો આગે આના હોગા -નૌજવાનો કો આગે આના હોગા. સુખ, ચૈન કી જિંદગી જિઓ, રોટી ખાઓ વરના મેરી ગોલી તો હૈ હી...”

અૉપરેશન સિંદૂરને પગલે દેશભરમાં જાગેલા રાષ્ટ્રવાદના જુવાળ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગુજરાતયાત્રા અંતર્ગત  પાકિસ્તાનની જનતાને આપેલો સંદેશ અતિ મહત્ત્વનો છે.

આતંકવાદને પોષતા પડોશી રાષ્ટ્રને ભારતીય સૈન્યએ બોધપાઠ ભણાવ્યા પછી મોદી જાહેર સભાઓમાં સ્પષ્ટ ચેતવણી આપતા રહ્યા છે. ભુજની જાહેર સભામાં એક કદમ આગળ વધતાં તેમણે પાકિસ્તાનની અને વિશેષ તો સિંધની જનતાનું અનુસંધાન સાધતાં કહ્યું કે, ત્યાંની (નાપાક) સરકાર અને સૈન્ય આતંકવાદનો ધંધો માંડી બેઠા છે. ભારત વિકાસની એક પછી એક સિદ્ધિ મેળવી રહ્યું છે ત્યારે તમારા શું હાલ છે? પાકિસ્તાનની જનતાએ, ત્યાંની નવી પેઢીએ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે, તેમનું શું થશે?

પાકિસ્તાનને એક રીતે ગર્ભિત ચેતવણી છે. કચ્છની સામેપાર સિંધ છે. જિયે સિંધની ચળવળ ચાલી રહી છે. બલૂચિસ્તાનમાં અલગ રાષ્ટ્રની માગણી સાથે પાકિસ્તાન સૈન્ય સામે જંગનાં મંડાણ થયાં છે. હવે સિંધ અને દેશની બીજી જનતાને વડા પ્રધાને સંકેત આપી દીધો છે કે, આતંકવાદની બીમારી દૂર કરવા માટે પાકિસ્તાની જનતાએ આગળ આવવું પડશે. સુખચેનની જિંદગી, પ્રગતિ, વિકાસ માટે આતંકપરસ્ત શાસકો અને સૈન્યને જનતાએ જ બોધપાઠ ભણાવવો પડશે. ત્યાંના લોકો મોદીની વાત શાનમાં સમજે એ તેમના જ હિતમાં છે.

ગુજરાતની ધરતી પર મોદીનું આગમન યાદગાર એટલા માટે રહ્યું કે, 26મી મે, 2014ના રોજ તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન મટીને દેશના વડા પ્રધાનપદના શપથ લીધા હતા. પીએમ તરીકેનાં 11 વર્ષનું શાસન યશસ્વી રહ્યું છે. ખુદ પીએમ મોદીએ સગર્વ કહ્યું કે, 2013માં ભારતના અર્થતંત્રનો ક્રમ 11મો હતો, હવે જાપાનને પાછળ રાખીને ચોથા ક્રમે આવી ગયું છે. મોદીના નેતૃત્વમાં ભારત વિકાસપથ પર જોશભેર અગ્રેસર છે.

નરેન્દ્ર મોદીએ કચ્છ સાથેના તેમના સંભારણાં તાજાં કર્યાં. લાગણીભરી વાતો કરીને સ્થાનિક લોકોનાં દિલ જીતી લીધાં. તેમણે ઉજ્જવળ ભવિષ્ય ભાખતાં કહ્યું કે, કચ્છે ભવિષ્યમાં વધુ મોટી ભૂમિકા ભજવવાની છે. વડા પ્રધાને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ગ્રીન હાઇડ્રો પ્રકલ્પથી લઈને ભુજ-નખત્રાણા ધોરીમાર્ગના પ્રકલ્પનું મંગલાચરણ કર્યું એ કચ્છના વિકાસને વધુ વેગ આપશે. માંડવીના બીચ ટૂરિઝમનું સૂચન કર્યું. ‘કચ્છના એક એક જણને, એક એક નગરને ઓળખું છું...’ એમ કહેતાં નરેન્દ્ર માદીએ માંડવી, ધોરડો, સ્મૃતિવન, ધોળાવીરા, રણોત્સવ, આશાપુરાધામ માતાના મઢને યાદ કરતાં કહ્યું કે, એક સમયે પલાયન માટે મશહૂર કચ્છ હવે હજારો પરપ્રાંતીયો માટે રોજગારી-વેપાર ઉદ્યોગનું મથક બન્યું છે. વડા પ્રધાનની વાત સાચી છે અને આ પરિવર્તન માટે તેમના તથા ગુજરાત સરકારના પ્રયાસોને પણ શ્રેય જાય છે.

પાકિસ્તાન - વિશેષ કરીને ‘િસંધુ દેશ’ના યુવાનોને આહ્વાન કર્યું છે ત્યારે પાકિસ્તાન - ભારત અમારા આંતરિક મામલામાં દખલ કરે છે - એવી કાગારોળ જરૂર કરશે. મોદીની કૂટનીતિ - ડિપ્લોમસીની આ ખૂબિયત છે. આતંકીઓ સામે ‘શાબ્દિક આતંક’ છે. પાકિસ્તાનના ચાર ટુકડા શત્રોથી નહીં - શબ્દોથી થશે... અને પાકિસ્તાની શાસકો રોતા રહેશે, દુનિયા જોતી રહેશે.