• રવિવાર, 01 જૂન, 2025

મેઘરાજા સામે હવે યુદ્ધના ધોરણે તૈયારી

મુંબઈમાં વહેલા અને પહેલા વરસાદે સુધરાઈના શાસનતંત્રને ઊંઘતું ઝડપી લીધું અને સર્વત્ર જળબંબાકાર થતાં નેતાઓની નિષ્ફળતા ઉપર લોકોની પસ્તાળ પડી છે. હવે શાસનતંત્ર સફાળું જાગ્યું અને કામે લાગ્યું છે. સુધરાઈની નિષ્ફળતાનાં કારણમાં જણાવાય છે કે ચોવીસમી તારીખે કેરળમાં ચોમાસાનું આગમન થયા પછી મુંબઈ-મહારાષ્ટ્રમાં આવતા સાતથી દસ દિવસ - સરેરાશ લાગે છે એવો રેકોર્ડ અનુભવ અને અંદાજ હોય છે. અને તે મુજબ ભરાયેલાં પાણી ઉલેચવા માટે પંપ બેસાડવામાં આવ્યા હતા. પણ પંપ બેસાડયા પછી તે ચાલુ કરવાની વ્યવસ્થા થઈ નહીં! હવે આ નિક્રિયતા બદલ ચાર કૉન્ટ્રાક્ટરોને - દરેકને દસ દસ લાખ દંડ ભરવાનો હુકમ થયો છે. ચાળીસ લાખ તો જમા થશે પણ મુખ્ય પ્રશ્ન એ હોવો જોઈએ કે હિન્દમાતા, ગાંધી માર્કેટ, મસ્જિદ સ્ટેશન અને ચૂનાભઠ્ઠી - એમ ચારે પમ્પિંગ સ્ટેશન એકસાથે ‘આરામ’માં હતાં? પંપ બેસાડયા પછી ઈલેકિટ્રક કનેકશન અને ટ્રાયલ રનની ચિંતા કોઈને નહોતી? કૉન્ટ્રાક્ટરો દંડ ભરપાઈ કરશે પણ સુધરાઈના સુપરવાઈઝરોની કોઈ જવાબદારી ખરી કે નહીં?

મુંબઈના સદ્ભાગ્યે મંગળવારે મેઘરાજાએ પોરો ખાધો. હવામાન ખાતાની આગાહી હતી કે હળવાથી ભારે ઝાપટાં પડશે પણ આગાહી ખોટી પડી. જો સાચી પડી હોત તો સોમવારની હાલાકીનું પરિવર્તન થયું હોત!

હવે મેઘરાજાના આગમન - કે આક્રમણ સામે સુધરાઈએ યુદ્ધના ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરી છે. પાણી ઓસરવા લાગ્યાં એટલે આખી રાત કામગીરી ચાલી. પંપનાં ઇલેક્ટ્રિક કનેકશન અપાયાં અને ગટર પાઇપ લાઈનોમાં જે કાદવ-કદડો ભરાયો છે તે સાફ કરીને હટાવવાની શરૂઆત થઈ. અલબત્ત, આ કામ તો આગળથી થવું જોઈએ. કદડો કાઢયા પછી જ્યાંના ત્યાં ઢગલા કરાય છે તેને બદલે હવે હટાવીને અન્યત્ર નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંપ માટે જનરેટરોનાં કનેકશન આપવામાં આવ્યાં છે.

વહેલા વરસાદના કારણે પહેલો દાવ હાર્યા પછી હવે યુદ્ધના ધોરણે તૈયારી થાય છે તે “ફુલપ્રૂફ” - અથવા ‘ફલડપ્રૂફ’ સફળ રહે એવી આશા અને પ્રાર્થના મુંબઈએ કરવી રહી!

શહેરી વિસ્તારોમાં અતિવૃષ્ટિથી લોકો હસતા મોઢે હાડમારી વેઠે છે પણ કૃષિ ક્ષેત્રે લીલા લહેર હોય છે. જૂન મહિનામાં સામાન્ય કરતાં 108 ટકા વરસાદ થવાની આગાહીને કારણે ખરીફ મોસમમાં કૃષિ પેદાશોનું ઉત્પાદન વધવાની આશા છે. સારા વરસાદને પગલે સતત બીજા વર્ષે ખરીફ મોસમમાં વિવિધ પાકનું ઉત્પાદન વધશે. ભારતમાં કૃષિ પેદાશોનું જે કુલ વાર્ષિક ઉત્પાદન થાય છે એમાં 60 ટકા હિસ્સો ખરીફ મોસમનો હોય છે. ચોમાસામાં જે વરસાદ થાય છે એને કારણે શિયાળુ પાક માટે પણ જમીનમાં ભેજની ઉપલબ્ધિ રહે છે. ખરીફ મોસમના વાવેતર માટે 50 ટકા જેટલી જમીન વરસાદ પર આધાર રાખે છે. ખરીફ મોસમમાં ડાંગર, કઠોળ અને તેલીબિયાંનું વાવેતર થાય છે.

કૃષિ વર્ષ 2025-26 (જુલાઈ-જૂન) માટે અનાજનું રેકોર્ડ 25.46 કરોડ ટન ઉત્પાદન થવાનો લક્ષ્યાંક મૂકયો છે. ગયા વર્ષે પણ વરસાદ સામાન્ય કરતાં વધારે 108 ટકા રહ્યો હતો. છેલ્લાં ચાર વર્ષમાં ગયા વર્ષે સૌથી સારો વરસાદ રહ્યો હતો.