અૉપરેશન સિંદૂરને ભારતભરમાં જે રીતે રાષ્ટ્રભક્તિ સાથે સમર્થન અપાઈ રહ્યંy છે, ત્યારે પહલગામના આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસનથી ધમધમતા વિસ્તારો સૂના બની ગયા છે. આતંકી હુમલાને લીધે ભયના માહોલમાં દેશ અને વિદેશના પ્રવાસીઓએ તેમના પ્રવાસનાં બુકિંગ અપેક્ષા મુજબ મોટાપાયે રદ કરતાં જમ્મુ અને કાશ્મીરમાં રોજગાર અને વેપાર પર મોટું જોખમ ઊભું થયું છે. હવે રાજ્ય સરકારે પ્રવાસન ફરી ધમધમે તે માટે વ્યાપક પ્રયાસ હાથ ધરવા શરૂ કર્યા છે. મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહ અને તેમના વહીવટી તંત્રે સલામતીના ચુસ્ત બંદોબસ્તનો ભરોસો ઊભો કરવા શ્રેણીબદ્ધ પગલાં લેવાં શરૂ કર્યાં છે. દેશના વિવિધ વિસ્તારોના અને વિદેશના ટૂર અૉપરેટરોને કાશ્મીર બોલાવીને તેમને ગળે આ વાત ઉતારવા બેઠકોનો દોર શરૂ કર્યો છે.
પહલગામ હુમલા અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા
ભારે વધી હતી. ખાસ તો રાજ્યના વિશેષ દરજ્જાના અંત બાદ આ પ્રવાહમાં સતત વધારો થતો રહ્યો
હતો. 2021થી 2024 વચ્ચેના સમયગાળામાં અહીં 7.49 કરોડથી વધુ પ્રવાસીઓએ પ્રવાસનનો આનંદ
માણ્યો હતો. 2024માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 6પ હજાર જેટલી રહી હતી. આમ ધરતી પરના
સ્વર્ગ ગણાતા આ રાજ્યમાં રોજગારી અને અર્થતંત્રને ભારે વેગ મળ્યો હતો, પરંતુ આતંકવાદના
ઓથાર તળે પહલગામના હુમલા બાદ હોટેલ, ટેક્સી સહિતના પ્રવાસનના પાયાનાં માળખાંમાં 90
ટકા જેટલાં બુકિંગ રદ કરાયાં છે. મોટા ટૂર ઓપરેટરોએ તેમની ટૂરો રદ કરી નાખતાં રાજ્યનાં
અર્થતંત્રની દશા બેસી ગઈ છે.
હવે સફાળી જાગેલી રાજ્ય સરકારે સલામતીના વધુને વધુ ચુસ્ત
બંદોબસ્ત કરવાની સાથોસાથ પ્રવાસીઓમાં સુરક્ષાની લાગણી ઊભી કરવાના પ્રયાસ હાથ ધર્યા
છે. આના અનુસંધાનમાં રાજ્યના પ્રધાનમંડળની એક બેઠક પહલગામમાં બોલાવાઈ અને સલામતીનાં
પગલાંની સમીક્ષા કરાઈ હતી. આ ખાસ બેઠક દ્વારા
દેશના લોકોનો ભરોસો ફરી જાગશે એવી આશા રાજ્યના લોકો રાખી રહ્યા છે. સાથોસાથ સરહદ પાર સ્પષ્ટ સંદેશ જશે કે, આતંકી હુમલાથી
રાજ્યના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી. રાજ્યના મુખ્ય પ્રધાન અબ્દુલ્લાહે આ અંગે એવો
મત વ્યક્ત કર્યો છે કે, જો આપણે આવી જગ્યાઓએ નહીં જઈએ તો કોણ જશે. બંદૂકોના ભયથી કાશ્મીરની
ખીણને અટુલી કરી દેવાશે તો તે આતંકી ઈરાદાનો વિજય રહેશે.
તાજેતરમાં નીતિપંચની બેઠકને નવી દિલ્હીમાં સંબોધતાં જમ્મુ
અને કાશ્મીરના મુખ્ય પ્રધાને એવું સૂચન કર્યું હતું કે, દેશનાં જોહર ક્ષેત્રનાં સાહસોએ
કાશ્મીરમાં બેઠકો અનિવાર્યપણે યોજવી જોઈએ. સાથોસાથ સંસદીય સમિતિઓએ પણ ખીણમાં આવીને
બેઠક કરવી જોઈએ. આવાં નાનાં-નાનાં પગલાંથી
પણ સ્થાનિક લોકોમાં સલામતીની લાગણી ઊભી થશે અને પોતાના ભવિષ્ય અંગેની ચિંતા દૂર થશે. આમ પહલગામ બાદના ભય અને રોષના માહોલને દૂર કરવા
રાજ્ય સરકારનાં પગલાં દેશના લોકોને સલામતી અને આવકારની બેવડી હૈયાધારણ આપે છે.