• રવિવાર, 01 જૂન, 2025

પ્રતિનિધિમંડળોનું મિશન સફળ

અૉપરેશન સિંદૂર પછી કૂટનીતિક પગલાં તરીકે ભારતે વિશ્વસ્તરે સાંસદોના પ્રતિનિધિમંડળ અલગ-અલગ દેશોમાં મોકલી પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે એ દર્શાવવાનું બીડું ઝડપ્યું છે. આતંકવાદને વૈશ્વિક ખતરા સામે પાકની પોલ ખોલવા ગયેલા આ પ્રતિનિધિમંડળની વિદેશયાત્રાની ભલે વિપક્ષ દ્વારા આલોચના કરાતી હોય પણ હકીકત એ છે કે, ભારતીય સંસદના ઇતિહાસમાં પહેલીવાર આટલા વ્યાપક સ્તરે એક મુદ્દાને લઇને નવી પહેલ થઇ રહી છે. તેના ઉદ્દેશ સાફ અને સ્પષ્ટ છે એટલે તેનું કૂટનીતિક મહત્ત્વ પણ ઘણું છે.

ભારત લાંબા સમયથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને વૈશ્વિક મંચ પર તેના વિરુદ્ધ આખા વિશ્વને એકજૂટ થવા આહ્વાન પણ કરતું રહ્યું છે પણ વિશ્વના મજબૂત દેશો તરફથી આતંકવાદ વિરુદ્ધ જોઇએ એવી કડક કાર્યવાહી થતી નથી. આતંકવાદ વિરોધી નિવેદનો આ નેતાઓ કરતા રહે છે પણ જ્યારે વાત નીતિગત સ્તરની થાય છે ત્યારે સુવિધાજનક નિર્ણયો લઇ લેતા હોય છે. અમેરિકા અને ચીને આતંકવાદ વિરોધની લડાઇમાં હંમેશાં નિરાશ કર્યા છે.

વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે ભારતનો વિરોધ પણ રાખી રહ્યું છે. પ્રતિનિધિમંડળની આ યાત્રામાં પાકિસ્તાનને મદદ કરનારા દેશો સામેલ નથી. ચીન, તુર્કીયે અને અઝરબૈજાનમાં પ્રતિનિધિમંડળ મોકલાયું નથી.

કૂટનીતિ તરીકે ભારતે સ્પષ્ટ વલણ લીધું છે, જે ભારતની વાતને નહીં સાંભળે, નહીં સમજે અને આતંકવાદના વિરોધની લડાઇમાં સહયોગ નહીં આપે, તેમના માટે સમય શા માટે બરબાદ કરવો? પ્રતિનિધિમંડળની આ યાત્રાથી પાકિસ્તાન વૈશ્વિક સ્તરે અલગ-અલગ પડી જશે. આપણે પુરાવા સાથે વિશ્વને પાકિસ્તાનના આતંક કારનામાં વિશ્વ સામે ખુલ્લા પાડવાના છે. સાથે પાકિસ્તાની તંત્ર કઇ રીતે આતંકવાદીઓ સાથે છે એ દર્શાવવું પણ જરૂરી છે. પાકમાં આજે પણ વૈશ્વિક સ્તરે વોન્ટેડ ઘોષિત થયેલા આતંકવાદીઓ રહે છે અને 32 જેટલાં આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં કાર્યરત છે.

પ્રતિનિધિમંડળ સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યમાંથી ચીનને બાદ કરતાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા અને અસ્થાયી 10 સભ્યમાં પાકિસ્તાન અને સોમાલિયાને બાદ કરીને ગ્રીસ, દક્ષિણ કોરિયા, અલ્જીરિયા, ડેન્માર્ક, સિયેરાલિયોન, ગુયાના, મનાપા અને સ્વોવેનિયામાં પોતાની વાત રજૂ કરશે. ઇસ્લામી દેશોના સંગઠન ઓઆઈસીના કેટલાય દેશો કુવૈત, બહેરીન, સાઉદી અરબ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને મિશ્રમાં પણ પ્રતિનિધિમંડળ પાક પ્રાયોજિત આતંકવાદ પર વાત કરી રહ્યું છે. આમ તો કાશ્મીર અને ઓઆઈસીનું વલણ તથ્ય અનુરૂપ નથી એટલે ત્યાં પાકનાં કાળાં કારનામાં રજૂ કરવાં જરૂરી છે.