અૉપરેશન સિંદૂરમાં ભારતીય લશ્કરે અને તેમાં પણ વાયુદળે ભારે સફળતા મેળવીને પોતાની તાકાતનો પરચો પાકિસ્તાન અને વિશ્વના બાકીના દેશોને કરાવી આપ્યો છે. દળોને શત્રો સહિતના સરંજામની ખરીદીના સંદર્ભમાં વાયુદળના વડાએ ઉઠાવેલા સવાલો કટોકટીના સામના માટેની સજ્જતામાં આત્મમંથન જગાવી જાય એવા છે.
પાકિસ્તાન સામેના મોરચામાં સ્ફોટક શાંતિ
છે, ચીનનો ભરોસો થઈ શકે તેમ નથી અને બાંગ્લાદેશના શત્રુતાભર્યા સૂર છે તેવા સમયે લશ્કરી
દળોની સજ્જતા અનિવાર્ય બની ચૂકી છે. આવામાં વાયુદળના વડા ઍર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે
ગુરુવારે ચાવીરૂપ સંરક્ષણ યોજનાઓ હેઠળ સરંજામની ખરીદી અને પુરવઠાને લગતા ગંભીર સવાલ
ખડા કર્યા હતા. તેમણે સંરક્ષણ સોદામાં સરંજામ મળવામાં થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત
કરી છે. ઍર ચીફ માર્શલ સિંહે એટલી હદે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, એવી સંખ્યાબંધ
સંરક્ષણ યોજનાઓ છે જેમાં વચનો અપાયાં છે, પણ કોઈ યોજના સમયસર પૂરી થઈ શકી નથી. વાયુદળના
વડાએ કરેલી આ વાત ખરા અર્થમાં ચિંતા જગાવે તેવી છે. સરકારની એ જવાબદારી છે કે, આવી
કોઈ પણ સ્થિતિમાં ઉકેલ શોધીને દેશની સલામતી સામેના પડકારોને પહોંચી વળવામાં આવે. ઉલ્લેખનીય
છે કે, આ અગાઉ તેમણે હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ દ્વારા વાયુસેના માટે અનિવાર્ય
તેજસ ફાઈટર વિમાનો પૂરા પાડવામાં થઈ રહેલા અસહ્ય વિલંબ અંગે બળાપો કાઢયો હતો. જોકે,
તે સમયે યુદ્ધ જેવી સ્થિતિ ન હોવાથી તેમાં તાકીદ ઓછી જણાઈ હતી, પણ હાલના સંજોગોમાં
તેમણે વ્યક્ત કરેલી ચિંતાનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
હાલના સમયમાં ભારતે સંરક્ષણ સરંજામમાં
આત્મનિર્ભરતા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. આવા સંજોગોમાં
સ્વદેશી ઉત્પાદનો માટે માર્ગ મોકળો બને તે ખરા અર્થમાં આવકાર્ય ગણી શકાય તેમ છે, પણ
દેશની સલામતી જેવા ચાવીરૂપ ક્ષેત્રમાં સમયસર શત્ર સરંજામનો પુરવઠો મળી રહે તે અનિવાર્ય
હોવું જોઈએ. આમ જ્યાં સુધી સ્વદેશી ઉત્પાદકો દેશનાં લશ્કરી દળો માટેના સરંજામને પૂરો
પાડવા અને તેને સમયની સાથે આધુનિક બનાવવામાં સંપૂર્ણપણે સક્ષમ બને નહીં ત્યાં સુધી
વિદેશી કરારો પર આધારિત રહેવાની વ્યવસ્થા પણ જાળવી રાખવી જોઈએ. આમ તો ભારત સરકારે કારગિલના
જંગ વેળાએ તાકીદની ખરીદી કરીને દળોને સજ્જ રાખ્યાં હતાં. હવે જ્યારે અૉપરેશન સિંદૂર સ્થગિત છે તેવા સમયે
સરકારે સમયનો સદુપયોગ કરીને દળોની તમામ જરૂરતો પૂરી કરવા પર તકીદે ધ્યાન આપીને દેશની
સલામતીને વધુ મજબૂત અને સજ્જ રાખવા જોઈએ. સાથોસાથ વાયુદળના વડા જેવા ઉચ્ચ લશ્કરી અધિકારીએ
આવી ચાવીરૂપ બાબતો જાહેરમાં કરવાને બદલે સરકારી સ્તરે તેના ઉકેલનાં પગલાં લેવા પર ધ્યાન
આપવું જોઈએ.