• બુધવાર, 04 જૂન, 2025

હવે સલમાન ખુર્શિદ રાહુલ ગાંધીને ઠપકારે છે!

કૉંગ્રેસના નેતાઓ શશી થરૂર ઉપર ટીકા-પ્રહારો કરે છે અને મોદી સરકારની નીતિ અને નિર્ણયોને બિરદાવવા બદલ તેઓ ભાજપના `મુખ્ય પ્રવક્તા' હોવાનું કહે છે ત્યારે કૉંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા સલમાન ખુર્શિદે કાશ્મીર અંગેની કલમ 370 સંવિધાનમાંથી રદ કરવા બદલ મોદી સરકારને સમર્થન આપ્યું છે અને કાશ્મીરની સમૃદ્ધિ આ નિર્ણયને આભારી છે એમ કહ્યું છે. ``પાકિસ્તાન કાશ્મીરનાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ ખતમ કરવાના પ્રયાસ કરે છે તે કમનસીબી છે.''

મોદી સરકારે વર્ષ 2019માં સંવિધાનની 370મી કલમ રદ કરી ત્યારે કાશ્મીરના પ્રાદેશિક પક્ષો સાથે જોડાઈને કૉંગ્રેસે પણ- સત્તામાં આવે તો - આ કલમ ફરીથી સંવિધાનમાં ઉમેરીને ભારતમાં કાશ્મીરનો અલગ દરજજો - અગાઉ હતો તેમ - સ્થાપિત કરવાની જાહેરાત અને વચન આપ્યું હતુ.

ઈન્ડોનેશિયા-જે મુસ્લિમ દેશ હોવા છતાં ભારતની સનાતન સંસ્કૃતિ અને દેવ-દેવીઓને આદર અપાય છે. ત્યાં ભારતીય પ્રતિનિધિમંડળમાં ગયેલા કૉંગ્રેસી નેતા સલમાન ખુર્શિદે ખુલ્લેઆમ મોદી સરકારની કાશ્મીર નીતિનું સમર્થન કરીને પાકિસ્તાનના આતંકવાદનો જવાબ આપ્યો છે. 370મી કલમ રદ થયા પછી - કાશ્મીર ભારતમાં અને ભારતથી અલગ હોવાની છાપ-ધારણા ખોટી પડી છે. કાશ્મીરમાં ચૂંટણી થઈ અને 65 ટકા મતદારોએ સ્વેચ્છાએ મત આપીને સરકાર ચૂંટી છે. હવે કાશ્મીરની સમૃદ્ધિના દિવસો શરૂ થયા છે ત્યારે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તે કમનસીબી છે એમ કહીને સલમાન ખુર્શિદ કહે છે - કોઈ પોતાના પરિવારના એક ભાગ ઉપર દાવો કરે, તે ચલાવી લેવાય નહીં. કાશ્મીર અમારા પરિવારનો હિસ્સો છે તેને કોઈ તોડી પડાવી નહીં શકે.

સલમાન ખુર્શિદ ભારતના પૂર્વ વિદેશપ્રધાન છે અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે. ઈન્ડોનેશિયાના ડિપ્લોમેટીક નિષ્ણાતો અને થિંકટેન્કના સભ્યોને મળ્યા પછી ભારતીય કુળના સભ્યો સાથેની મુલાકાતમાં એમણે કહ્યું કે `અમારા પ્રતિનિધિ મંડળમાં કેટલાક સભ્યો શાસક પક્ષના નથી, વિપક્ષના છે. આ ભારતની લોકશાહી છે. સરકાર માત્ર એમના પક્ષના સભ્યોને મોકલી શકી હોત પણ સર્વપક્ષી પ્રતિનિધિ મંડળથી વિશ્વને ભારતનો સંદેશ મળે છે. છતાં ભારતમાં કોઈ કહે છે કે અમે ભાજપના અથવા કૉંગ્રેસના છીએ પણ અમે બધા સાથે ઊભા છીએ અને એકમેકના પક્ષને નહીં- ભારતનું સમર્થન અને પ્રતિનિધિત્વ કરીએ છીએ તેનું અમને ગૌરવ છે.

સલમાન ખુર્શિદે વિદેશની ધરતી ઉપરથી રાહુલ ગાંધીને સંદેશ-શિખામણ આપી છે- તેઓ સમજે અને સ્વીકારે તો! પણ શેઠની શિખામણ ક્યાં સુધી- ભારતના ઝાંપા સુધી? ભારતમાં તો કૉંગ્રેસી નેતાઓનો બફાટ-સન્નિપાતની જેમ જારી જ છે! હવે તેલંગણાના કૉંગ્રેસી-યુવા મુખ્ય પ્રધાન પૂછે છે : પાકિસ્તાને આપણાં કેટલાં રાફેલ વિમાન તોડી પાડયાં? મોદી જવાબ આપો! નોંધપાત્ર અને શરમજનક છે કે રાહુલ ગાંધીએ ક્યારે પણ પૂછ્યું નથી કે આપણે કેટલા પાકિસ્તાની આતંકીઓને માર્યા? 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ