• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

`વૉલ'ની વિદાય, યાદ રહેશે યોગદાન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પિચ ઉપરથી ચેતેશ્વર પૂજારા પૅવેલિયનમાં જઈ રહ્યા છે. તેમના હાથમાં રહેલું બૅટ ઊંચું છે અને સૌરાષ્ટ્રવાસીઓના, દેશના ક્રિકેટપ્રેમીઓનાં મસ્તક ઉન્નત છે ગૌરવથી. ચેતેશ્વરને ધ વૉલ એવું બિરુદ ચાહકોએ આપ્યું હતું. આ `દીવાલની મજબૂતી' સૌએ નજરે જોઈ છે. નિવૃત્તિની તેમની ઘોષણા ચાહકો માટે વસમી છે. ભારતીય ક્રિકેટનો ઈતિહાસ આ નામને વર્ષો સુધી સાચવશે. આ ક્રિકેટ સિતારાની ઓળખ એક લીટીમાં આપવી હોય તો એવું કહેવાય કે તેની આ સફર તળેટીથી શિખર સુધીની રહી.

ભારતીય કે વિશ્વ ક્રિકેટના અનેક વિક્રમો સાથે ચેતેશ્વર અરવિંદભાઈ પૂજારાનું નામ જોડાયેલું રહેશે. એક જ ઈનિંગમાં 500થી વધારે દડાનો સામનો કરનાર તે માત્ર એક ભારતીય બૅટર. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 19 બેવડી સદી, ટેસ્ટ મૅચના પાંચેય દિવસ બૅટિંગ... 103 ટેસ્ટ મૅચ, 176 ઈનિંગ્સ, 7195 રન, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 66 સદી, 81 અર્ધ સદી. ચેતેશ્વરના આ રેકૉર્ડ છે. રાહુલ દ્રવિડ પછી ટેક્નિકલી પર્ફેક્ટ હોય તેવો ભારતનો તે એકમાત્ર ક્રિકેટર. 2005માં સૌરાષ્ટ્રની ટીમ વતી રણજી ટ્રૉફીમાં પ્રવેશ, 2010માં આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય બતાવવાનું શરૂ કર્યું. પિતા ક્રિકેટર અને કોચ પણ ખરા. કાકા બિપિન પૂજારાની પણ રણજીમાં કારકિર્દી. રાજકોટની સ્વ. રમેશભાઈ છાયા સ્કૂલનો વિદ્યાર્થી ચેતેશ્વર આજે વિદાયવેળાએ એવું લખે કે બાળપણથી મેં સિતારાઓને જોયા અને ધ્યેય નક્કી કર્યાં હતાં. 

ચેતેશ્વરની કારકિર્દી પણ એમ તો ટૂંકમાં વર્ણવવી સહેલી નથી વિશ્વ ક્રિકેટમાં, ક્રિકેટના વિશ્વમાં જેનું નામ ચમકે છે તે ચેતેશ્વરને `ફૂલછાબ એવૉર્ડ'થી પણ સન્માનિત કરાયા છે. ક્રિકેટ કોચ ગૌતમ ગંભીરે સાચું જ લખ્યું કે તોફાન જ્યારે આવ્યું ત્યારે ચેતેશ્વર અડગ રહ્યો હતો. ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટસ હોય તેમાં પરિશ્રમ હોય એટલે સામાન્ય રીતે ખેલાડીઓ માંસાહાર કરતા હોય, પરંતુ ચેતેશ્વર પૂજારા શાકાહારી રહ્યા. તેમનું આધ્યાત્મિક જોડાણ પણ પૂ. હરિચરણદાસજી સાથે રહ્યું. ભારતીય ક્રિકેટનો એક અગત્યનો કાળખંડ, એક નોંધપાત્ર તબક્કો `નામે ચેતેશ્વર' પૂર્ણ થયો છે, પરંતુ તેઓ જ્યારે `ઈનિંગ અૉફ ધ ઈનિંગ્સ' પૂર્ણ કરીને જઈ રહ્યા છે ત્યારે બધેથી તાળીના ગડગડાટ સંભળાઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ